
વડોદરાઃ રાજ્ય સરકાર અને મ્યુનિ,કોર્પોરેશન દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે પણ તેનો લાભ ગરીબોને મળે છે કે કેમ તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી, વડોદરા શહેરમાં ફૂટપાથવાસીઓ તેમજ ગરીબ ઝૂંપડાવાસીઓને કુદરતી આપત્તીમાં આશરો આપી શકાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ નવા સહિત 10 જેટલા રેનબશેરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. જોકે, કલાલી બ્રિજ, સોમા તળાવ, અટલાદરા સહિત પાંચ નવા બનાવવામાં આવેલા રેનબશેરા માટે પલંગ, ગાદલા, વાસણો સહિતનો સામાન ખરીદવાનો હોવાથી હાલ બંધ હાલતમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ રેનબશેરા તૈયાર થયે એક-દોઢ વર્ષ જટેલો સમય થઇ ગયો છે. પરંતુ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માલસામાન ખરીદવા માટે સમયસર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન કરતા આ રેનબશેરા ધૂળ ખાઇ રહ્યું છે. અને ગરીબ લોકો પ્રવર્તમાન ચોમાસામાં પણ તેનો લાભ લઇ શકતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં આવેલા અક્ષર ચોક કલાલી બ્રિજ નીચે તા. 29/6 /2020 ના રોજ રેનબશેરાનું રૂપિયા 2.21 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયરના હસ્તે કલાલી બ્રિજ નીચે રેનબસેરા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું નામ સ્વામીનારાયણ સેતુ આપવામાં આવ્યું છે. પરંતુ આજ દિન સુધી રેનબશેરા ગરીબ ઘર વિહોણા લોકો તેમજ ફૂટપાથવાસીઓને રહેવા માટે ખૂલ્લુ મુકવામાં આવ્યું નથી. તેજ રીતે સોમા તળાવ, અટલાદરા, લાલબાગ બ્રિજ સહિત પાંચ નવા રેન બશેરા બનાવવામાં આવ્યા છે. પરંતુ, આ રેનબશેરામાં પલંગ, ગાદલા, વાસણો જેવી કોઇ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી રેનબશેરા બંધ હાલતમાં છે. પરિણામે ઘર વિહોણા ગરીબોને બ્રિજ નીચે ખુલ્લામાં સૂઈ રહેવાનો વખત આવ્યો છે. તે સાથે નાના ભૂલકાઓને પણ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ફૂટપાથ અથવા બ્રિજની નીચે ખૂલ્લા જગ્યામાં રાત પસાર કરવાનો વખત આવ્યો છે. નોંધનીય છે કે, શહેરના વિવિધ બ્રિજ નીચે બનાવવામાં આવેલા નવા પાંચ રેનબશેરા પૈકી લાલબાગ બ્રિજ નીચેનું રેઇન બશેરા શરૂ કરી દેવામાં આવ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ રેનબશેરા કોઈ નેતા દ્વારા ઉદઘાટન કરવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે., પરંતુ ગરીબ લોકો અને ફૂટપાથવાસીઓ વર્તમાન ચોમાસાની મોસમમાં બ્રિજ નીચે અથવા ફૂટપાથો ઉપર દિવસ પસાર કરી રહ્યા છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા કલાલી બ્રિજ નીચે બનાવવામાં આવેલ રેનબશેરા સહિત વિવિધ બ્રિજ નીચે બનાવવામાં આવેલા રેનબશેરા શરૂ કરવામાં આવ્યા નથી. આ રેનબશેરા અંગે યુ.સી.ડી. પ્રોજેક્ટના અધિકારીએ જણાવ્યું હતુ કે, કલાલી બ્રિજ નીચે બનાવવામાં આવેલા રેનબશેરામાં પલંગ, ગાદલા, વાસણો જેવી ચિજવસ્તુઓની ખરીદી માટે ટેન્ડર મંગવવામાં આવેલું છે. અને ટેન્ડર સ્થાયી સમિતિમાં મંજૂરી માટે છે. સ્થાયિ સમિતિ દ્વારા ટેન્ડર મંજૂર કરતાની સાથેજ આ ચિજવસ્તુઓ જે તે ઇજારદારનું ટેન્ડર મંજૂર થશે તેની પાસેથી મંગાવી લેવામાં આવશે. અને ચિજવસ્તુઓ મૂકતાની સાથેજ આ રેનબશેરા શરૂ કરી દેવામાં આવશે. વડોદરા શહેરમાં વડસર બ્રિજ, નવાયાર્ડ અમરનાથ નગર, મધુનગર બ્રિજ, વિશ્વામિત્રી બ્રિજ અને જી.આઇ.ડી.સી. મળી પાંચ રેનબશેરા છે. અને આ તમામ રેનબશેરા હાલમાં કાર્યરત છે. અને આ રેનબશેરામાં 120 જેટલા લોકો રહે છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રેનબશેરા અંગે સ્થાયિ સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરાના સોમા તળાવ બ્રિજ, કલાલી બ્રિજ, લાલબાગ બ્રિજ, અટલાદરા બ્રિજ સહિત વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા નવા રેનબશેરામાં પલંગ, ગાદલા, વાસણો જેવી ચિજવસ્તુઓ મુકવાની બાકી છે. આ ચિજવસ્તુઓ ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ રેનબશેરા શરૂ કરી દેવામાં આવશે. હાલમાં નવા બનાવેલા રેનબશેરા પૈકી લાલબાગ બ્રિજ નીચેનું રેઇન બશેરા શરૂ કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય બાબત એ છે કે, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજ, કલાલી બ્રિજ, અટલાદરા બ્રિજ, સોમા તળાવ સહિત પાંચ સ્થળોએ નવા રેનબશેરા બનાવીને પણ એક-દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ, આ રેનબશેરામાં પલંગ, ગાદલા, વાસણો સહિત વિવિધ ચિજવસ્તુઓ ખરીદવા માટે સમયસર ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવી નથી. હાલ ચોસામું શરૂ થઇ ગયું છે., મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માલસામાન ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.