
નર્મદા જિલ્લામાં બે દિવસથી સતત વરસાદને લીધે કરજણ ડેમ છલકાતાં ડેમના 4 દરવાજા ખોલાયા
વડોદરાઃ મેધરાજા છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાત પર મહેરબાન બન્યા છે. જેમાં નર્મદા જિલ્લામાં પણ સતત બે દિવસ સુધી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે કરજણ બંધમાં 1.29 લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ ડેમના 4 દરવાજા ખોલી 50000ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે. આથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.
મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન સારોએવો વરસાદ પડ્યો છે. જેમાં બુધવારે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં નદી, નાળા, તળાવો છલકાયા છે. નદીઓ બેકાંઠે વહી રહી છે. કરજણ ડેમના ઉપરવાસ વિસ્તાર એવા સાગબારા તેમજ દેડીયાપાડામાં પણ ધોધમાર વરસાદ ખાબકતા કરજણ ડેમમાં 1.29 લાખ ક્યુસેક પાણીની આવક થઇ હતી. ડેમનું જળસ્તર 107 મીટર પર પહોંચી જતા ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કરજણ ડેમના ચાર ચારવાજાઓને 3 મીટર ખોલી 50000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેથી સલામતીના ભાગરૂપે કરજણ કાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી હતી. તો બીજી તરફ ડેમમાંથી પાણી છોડતા કરજણ નદીમાં પાણી વધી જતા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી નદી પરના પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આજે ગુરૂવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.