ભારતની નાણાકીય વ્યવસ્થા ખૂબ જ મજબૂત સ્થિતિમાં : RBI ગવર્નર શક્તિકાંત દાસ
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ (IGIDR) કેમ્પસમાં નાણાકીય સ્થિતિસ્થાપકતા પરની વૈશ્વિક પરિષદમાં જણાવ્યું હતું કે, આપણી સ્થાનિક નાણાકીય વ્યવસ્થા હવે ઘણી મજબૂત સ્થિતિમાં છે.
તેમણે કહ્યું હતું કે, અમારા સમયસર પગલાંથી અસુરક્ષિત લોનની વૃદ્ધિ ધીમી પડી. જો ધ્યાન ન રાખવામાં આવે તો અસુરક્ષિત દેવાની નબળાઈઓ મોટી સમસ્યા બની શકે છે.
મજબૂત મૂડી પર્યાપ્તતા, નોન-પર્ફોર્મિંગ એસેટ્સનું નીચું સ્તર અને તંદુરસ્ત નફાકારકતા દેશના બેન્કિંગ અને નોન-બેન્કિંગ ધિરાણકર્તાઓની ઓળખ બની ગઈ છે, એમ આરબીઆઈ ગવર્નરે કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે, હું 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં આવા શ્રેષ્ઠ પ્રદર્શન માટે બેંકો અને અન્ય નાણાકીય ક્ષેત્રની સંસ્થાઓને અભિનંદન આપવા માંગુ છું. વધુમાં તેમણે કહ્યું હતું કે, આત્મસંતુષ્ટતા માટે કોઈ જગ્યા નથી, વિશ્વ બદલાઈ રહ્યું છે, પડકારો આવી રહ્યા છે. પરંતુ આપણે અમારું શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

