
પાકિસ્તાનના આર્મી ચીફ અને તાજેતરમાં નિયુક્ત ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીર હાલ અમેરિકાના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેમણે અમેરિકામાં રહેતા પાકિસ્તાની સમુદાયને સંબોધિત કર્યો હતા. દરમિયાન તેમણે ભારત સામે ઝેર ઓક્યું હતું. તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના સંઘર્ષને પાકિસ્તાનની જીતનો દાવો કર્યો હતો.
મુનીરે કહ્યું કે પાકિસ્તાન 1971ની હાર ક્યારેય ભૂલી શકશે નહીં અને સમય આવશે ત્યારે તેનો જવાબ આપશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેના ભારતની કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા સક્ષમ છે. અસીમ મુનીરે કાશ્મીર અંગે પણ નિવેદન આપ્યું છે.
પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકાર એજાઝ સૈયદે એક ટોક શોમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના પ્રમુખ સૈયદ અસીમ મુનીરે અમેરિકામાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેઓ 1971ના યુદ્ધનો બદલો ભારતને તોડીને લેશે. વોશિંગ્ટનમાં રહેતા પાકિસ્તાની નાગરિક નોમાન મુઘલે પણ દાવો કર્યો હતો કે મુનીરે કહ્યું હતું કે, “અમે ચીન સાથે મળીને ભારત સામે યુદ્ધ લડ્યું છે.”
સૈયદ અસીમ મુનીરે કહ્યું હતું કે, પાકિસ્તાને સાયબર યુદ્ધ સહિત પાંચ સ્તરે ભારત સામે યુદ્ધ લડ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની હેકર્સે ભારતના 70% ગ્રીડ સ્ટેશનોને હેક કરીને બંધ કરી દીધા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાની ડ્રોન દિલ્હી અને ગુજરાત સુધી પહોંચી ગયા હતા. મુનીરે બીજો દાવો કર્યો હતો કે ભારતની ટ્રેન સિસ્ટમ પણ હેક કરવામાં આવી હતી. જોકે, તેમણે આ દાવાઓનો કોઈ પુરાવો આપ્યો ન હતો અને ભારત તરફથી અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી.
અમેરિકામાં આપેલા પોતાના ભાષણમાં, અસીમ મુનીરે સ્વીકાર્યું હતું કે ભારત સામેની લડાઈમાં પાકિસ્તાનને ચીન પાસેથી શસ્ત્રો અને લશ્કરી સાધનો મળ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાને આ શસ્ત્રોનો ઉપયોગ એવી રીતે કર્યો હતો કે ચીન પણ તેમની તૈયારીથી પ્રભાવિત થયું હતું. આ દરમિયાન, મુનીરે આતંકવાદના મુદ્દા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સોવિયેત યુનિયનના અફઘાનિસ્તાન પર હુમલા પછી, અમેરિકાની મદદથી પાકિસ્તાનમાં ‘જેહાદી સંસ્કૃતિ’ ખીલી હતી અને આ પછીથી ઘણા આતંકવાદી સંગઠનોનું મૂળ બની ગયું.