
બેન્કમાંથી રૂપિયા ઉપડી ગયા, ગ્રાહકને OTP કે મેસેજ ન આવ્યો, કન્ઝ્યુમર કોર્ટે વળતર ચુકવવા બેન્કને કર્યો આદેશ
અમદાવાદ: રાજ્યમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ફ્રોડના કેસ વધી રહ્યા છે. બેન્કના ખાતેદારને ઓટીપી નેબર પણ ન આવે અને તેના ખાતામાંથી ઓનલાઈન ડિઝિટલના માધ્યમથી પૈસા ઉપડી જાય તો જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે. જો કે એક કેસમાં કન્ઝ્યુમર કોર્ટે બેન્કનો જ જવાબદાર ઠેરવીને વળતર ચુકવવા આદેશ કર્યો હતો. કન્ઝ્યુમર કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને આદેશ આપતા તેના ખાતાધારકને બેક એકાઉન્ટમાંથી ઉપડી ગયેલી રકમ ચૂકવવા માટે આદેશ આપ્યો હતો. તેમજ માનસિક હેરાનગતિ માટે વધારાના રુ. 5500 ચૂકવવા આદેશ અપાયો છે. આ ખાતાધારકના એકાઉન્ટમાંથી છ વખત ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રુ. 30000 ઉપાડી લેવામાં આવ્યા હતાં. જોકે આ માટે એકપણ વાર ખાતાધારકને મોબાઈલમા ઓટીપી આવ્યો નહોતો.
આ કેસની વિગત એવી છે કે, સૌરાષ્ટ્રના દેવભૂમી દ્વારકામાં રહેતા 45 વર્ષીય સંજયકુમાર શાહુ સાથે આ ઘટના ઘટી હતી. જેમાં ગત 29 ડિસેમ્બર 2020 ના રોજ કોઈએ તેમના ખાતામાંથી ફોન-પે એપ્લિકેશન મારફતે છ ટ્રાન્ઝેક્શનમાં કુલ રુ .30,000 ઉપાડ્યા હતા. જેમાં દરેક વખતે 5,000 રુપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. જોકે, શાહુને એક વખત કોઈ OTP મળ્યો નહોતો. પરંતુ જ્યારે 4 જાન્યુઆરી, 2021 ના રોજ તેણે પોતાની પુત્રીના અભ્યાસ માટે ફી ભરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ખાતામાંથી ઉપડી ગયેલા રુપિયા અંગે ખબર પડી હતી. જેથી તેણે બેંકનો સંપર્ક કર્યો અને બેકે તેમને ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. શાહુએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં અરજી કરી હતી. જેમાં ખાતાધારકે બેંકિંગ સેવાઓમાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોતાની ચોરાયેલી રકમ તેમજ હેરાનગતિ પેટે વધારાના 9000 રુપિયાના વળતરની માંગણી કરી હતી.
જોકે બેંકે કમિશનને રજુઆત કરી હતી કે, ફોન-પે સાથે બેંકને કોઈ લેવાદેવા નથી અને ગ્રાહકે પોતાનું એકાઉન્ટ જે તે એપ્લિકેશન સાથે જોડવા માટે બેંક તરફથી કોઈ સહમતી લીધી નહોતી. તેમજ ગ્રહાકે જે ફરિયાદ નોંધાવી છે તે બેંક એકાઉન્ટમાંથી રુપિયા ઉપાડવા માટે નોંધાવી છે. જોકે તેમની સાથે છેતરપિંડી કોઈ અન્ય વ્યક્તિ કરી છે. જેથી ફરિયાદીની બેદરકારીને કારણે આ વ્યવહારો થયા હોવાનું બેંકે પોતાની રજૂઆતમાં કહ્યું હતું. બેંકની રજૂઆત જાણીને કન્ઝ્યુમર ફોરમની પેનલે કહ્યું કે એવું માની શકાય નહીં કે બેંકને ફોન-પે લિંક અંગે જાણ નહોતી. તેમજ નિયમો મુજબ ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં બેંક માટે ગ્રાહકને એસએમએસ ટોન ચેતવણી મોકલવી ફરજિયાત છે. જેથી ગ્રાહકના રુપિયા ઉપડી ગયા તેમાં ગ્રાહક નહીં પણ બેંકની સેવાઓ આપવામાં ખામી સ્પષ્ટપણે દેખાય છે. તેમ જણાવીને કમિશને SBI બેંકને ફરિયાદી ખાતાધારકને 30,000 રુપિયા પરત કરવાનો આદેશ આપ્યો. આ સાથે તેણે બેંકને માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ માટે વળતર રુ.5,500 ચૂકવવાનો આદેશ આપ્યો છે.