1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિજય રૂપાણીને પંજાબના ભાજપના સહપ્રભારી બનાવાયા, હવે ટિકિટ મળવાની શક્યતા ઓછી
વિજય રૂપાણીને પંજાબના ભાજપના સહપ્રભારી બનાવાયા, હવે ટિકિટ મળવાની શક્યતા ઓછી

વિજય રૂપાણીને પંજાબના ભાજપના સહપ્રભારી બનાવાયા, હવે ટિકિટ મળવાની શક્યતા ઓછી

0
Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજીબાજુ ભાજપમાં ટિકિટ માગનારીની મોટી ફોજ છે. અને આ ચૂંટણીમાં નવા યુવા ચહેરાને ઉતારવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે જુના જાગીઓમાંથી કેટલાને ટિકિટ અપાશે તે નક્કી નથી ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢના ભાજપના સહપ્રભારીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે રૂપાણીને રિપિટ કરવામાં આવે તેવી શક્યતા ઓછી હોવાનું સૂત્રોનું માનવું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવી ભૂમિકા આપી છે. જે.પી. નડ્ડાએ વિજય રૂપાણીની પંજાબ અને ચંદીગઢ રાજ્યમાં સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતમાં ભાજપને ગમે તે ભોગે આગામી વિધાનસભા ચૂંટણીમાં 150+ બેઠકો અંકે કરવી જ છે. આ માટેની આગવી રણનીતિના ભાગરૂપે સી.આર. પાટીલ ઉપરાંત મોવડીમંડળે પણ કમાન સંભાળી લીધી છે. પર્ફોર્મન્સના આધારે નિર્ણયો લેવાના શરૂ પણ થઈ ગયા છે. બીજી તરફ, એક વર્ષથી વનવાસ ભોગવી રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધા કોર કમિટીમાં સામેલ કરાયા છે. સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા રૂપાણી ફરી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. આવામાં પોતાના રાજકીય ગુરુ વજુભાઈ વાળાના માર્ગદર્શનમાં રૂપાણી અને આર.સી. ફળદુ ફરી સૌરાષ્ટ્ર ખૂંદશે અને ટિકિટનું ગણિત બેસાડશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના વખતે ઘણા જૂના મંત્રીઓ નારાજ થયા હતા. કેટલાક સિનિયર મંત્રીઓ, જેમનું અલગ-અલગ જ્ઞાતિઓ પર પણ પ્રભુત્વ હતું, તેમણે નારાજગી વ્યક્ત પણ કરી હતી. આ સંજોગોમાં અલગ-અલગ નેતાઓને બદલે ભાજપના હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામ સોંપી દીધું હતું. રૂપાણીએ પણ નારાજ મંત્રીઓની રજૂઆતો શાંતિથી સાંભળી તેમનો રોષ ઠારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કામગીરીની કદર કરીને રૂપાણીને પંજાબ અને ચંડીગઢના ભાજપના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. પંજાબની જવાબદારી સોંપાતા રૂપાણીને ધારાસભ્ય તરીકે રિપિટ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. રૂપાણીને સૌરાષ્ટ્રમાં પ્રચારની પણ જવાબદારી સોંપવામાં આવે તેવી ચર્ચા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code