
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યા બાદ રવિવારથી મેટ્રો ટ્રેન રાબેતા મુજબ દોડતી થઈ છે. અને સારોએવો ટ્રાફિક પણ મળી રહ્યો છે. ત્યારે પહેલા જ દિવસે ગોમતીપુર એપ્રોચના મેટ્રો પાર્કિંગમાં ચાર વિદેશી નાગરિકો બેરીકેટીગ તોડી અંદર ઘૂસ્યા હતા. તેણે મેટ્રો રેલમાં ગ્રેફિટી બનાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ પોલીસે ચારેય વિદેશી નાગરિકોની ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના પ્રવાસે આવેલા 4 વિદેશી પ્રવાસીઓએ ગોમતીપુર એપ્રોચના પાર્કિંગ એરિયામાં પાર્ક કરાયેલા મેટ્રો કોચના બહારના ભાગે ગ્રાફિટી બનાવી હતી. મેટ્રો ટ્રેનના કોચની બહાર સ્પ્રે કલરથી TATA અને TAS જેવા શબ્દો લખ્યા હતા. મેટ્રોના સિક્યુરિટી જનરલ મેનેજરે આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ લખાણથી સરકારી પ્રોપર્ટીને મેટ્રોને નુકસાન પહોંચાડવાના ઇરાદે કૃત્ય હોવાનું જણાવ્યુ હતું. ક્રાઈમ બ્રાન્ચે CCTV ના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ચારેય વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચારેય વિદેશી નાગરિકો ઈટાલીના છે, અને ટુરિસ્ટ વિઝા પર ગુજરાત આવ્યા હતા. તેઓ એપરલ પાર્કમાં પ્રવેશ્યા હતા. અને તેમણે જ મેટ્રોના કોચ પર TATA અને TAS જેવા લખાણ લખ્યા હતા. ચારેય વિદેશી નાગરિકો મુંબઈમાં પણ આ પ્રયાસ કરી ચૂક્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખીનય છે કે, રવિવારથી અમદાવાદમાં જાહેર જનતા માટે મેટ્રો કાર્યરત કરવામાં આવી છે. લોકોમાં મેટ્રોને લઇ અનોખુ આકર્ષણ છે. મેટ્રોનો પૂર્વથી પશ્ચિમ કોરિડોરનો રવિવારથી પ્રારંભ થયો છે. જ્યારે મોટેરાથી વાસણા APMC નો કોરિડોર આગામી તા. 6ઠ્ઠી ઓક્ટોમ્બરથી પ્રારંભ થશે. ત્યારે રવિવારે મોટી સંખ્યામાં શહેરીજનો પોતાના બાળકોને લઈને પણ મેટ્રોની મુલાકાત માટે પહોંચ્યા હતા અને. મેટ્રો ટ્રેનમાં સેલ્ફી પણ લેતા જોવા મળ્યા હતા.