
અમદાવાદઃ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા AMCએ વિવિધ વિસ્તારના 40 તળાવમાં પોરાભક્ષક ગંબુશિયા માછલીઓ તરતી મુકાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને ગત રવિવારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરે છે. જેથી ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં કાયમ પાણીથી ભરાયેલા રહેતા 40 તળાવમાં પોરાભક્ષક એવી ગુંબશિયા માછલીઓ તરતી મુકવામાં આવી છે. આ માછલીઓની ખાસિયત એ છે કે, માદા માછલીઓ ચાર અઠવાડિયામાં 100થી 200 બચ્ચાને જન્મ આપે છે એટલું જ નહીં આ એક માછલી દિવસમાં 80થી 300 મચ્છરના પોરા ખોરાકમાં લે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગ તરફથી શહેરના મધ્યઝોનમાં આવેલા એક, ઉત્તરઝોનમાં આવેલા 3, દક્ષિણ ઝોનમાં 14, પૂર્વ ઝોનમાં 8 ઉપરાંત પશ્ચિમ ઝોનમાં 2 તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 5, દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત તળાવમાં ગુંબશિયા માછલીઓ તરતી મુકવામાં આવી છે. મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, ગંબુશિયા અને ગપ્પી આ બંને પોરાભક્ષક માછલી છે. કાયમી ધોરણે ભરાઈ રહેતા છીછરા પાણીમાં આ માછલીઓ રહેવાનું પસંદ કરે છે. જેથી મચ્છર નિયંત્રણમાં વધુ અસરકારક પુરવાર થાય છે. આ ઉપરાંત અન્ય આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતા મનપા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે.