
ગાંધીનગરઃ ગુજરાતના ATSના કર્મચારીઓને માટે સરકારે હાઈરિસ્ક એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે. ATS (અન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ) ના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. જીવના જોખમે કામ કરતા આ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના 45 ટકા જેટલું હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે ATSના 240 કર્મચારીઓને ફાયદો મળશે.
રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યના ATSના કર્મચારીના બેઝિક પે નો 45 ટકા પગાર વધારો કરાયો છે. મહત્વનું છે કે અત્યાર સુધી CM સિક્યોરિટી અને ચેતક કમાન્ડોને આ લાભ મળતા હતા. જે હવે ATSના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ લાભ મળશે. રિસ્ક એરિયામાં આ તમામ ATSના અધિકારીઓએ પોતાની ફરજ બજાવતા હોય છે. જેને લઈ સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવાયું કે, રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ની વર્ષ 1995માં રચના કરવામાં આવી હતી.. જે રાજ્યમાં આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ, બનાવટી ચલણી નોટો, નાર્કોટિક્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ, સાયબર ક્રાઈમ તેમજ રાજ્ય અને રાષ્ટ્રની આંતરિક સલામતી જોખમાય તેવી ગુનાઈત પ્રવૃત્તિઓ પર તેમજ તેને સંલગ્ન ગુનાઈત પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાની કામગીરી કરી છે. તેથી આ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્ટ આપવાની મંજૂરી આપવા અત્રે દરખાસ્ત મળી હતી. જેને મંજૂરી આપવાની બાબત વિચારણા હેઠળ હતી. તેથી આ કર્મચારીઓને તેમના છઠ્ઠા પગાર પંચ મુજબના ગ્રેડ પે, પે બેન્ડ સહિતના પગારના 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે.