આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ
આણંદ, 28 માર્ચ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસનું આયોજન થયું હતું. નર્મદા પિયત સંશોધન યોજના, આણંદ કૃષિ યુનિવર્સિટી, ખાંધા કેન્દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જીલ્લાના વણછરા ગામના 47 ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે પ્રેરણા પ્રવાસે લઇ જવામાં આવ્યા હતા.
પ્રેરણા પ્રવાસની શરૂઆત કરાવતી વખતે ખાંધા કેન્દ્રના યુનિટ વડા ડો. જે. એચ. ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રવાસનું આયોજન, હેતુ અને મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્દ્ર દ્વારા પ્રથમ વખત આ પ્રકારનો પ્રેરણા પ્રવાસ યોજાયો છે. આ પ્રવાસ દરમ્યાન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે જે. ડી. બલદણીયા, સિનિયર રીસર્ચ ફેલો તથા જી. એસ. પરમાર, ખેતી મદદનીશ ખેડૂતો સાથે પ્રેરણા પ્રવાસમાં સાથે જોડાયા હતા.
આ પણ વાંચોઃ આણંદ કૃષિ યુનિવર્સિટીએ નેશનલ યુથ ફેસ્ટીવલમાં અનોખી સિદ્ધિ મેળવી
આ પ્રવાસમાં ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના જળ અને જમીન વ્યવસ્થાપન યુનિટ, સરદાર સ્મૃતિ કેન્દ્ર, પ્રાકૃતિક કૃષિ ફાર્મ, બનાના સ્યુડોસ્ટેમ પ્રોસેસીંગ યુનિટ, કેવીકે, નવસારી વગેરે કેન્દ્રોની મુલાકાત કરાવવામાં આવી હતી, જેના થકી નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોએ પાણીના કાર્યક્ષમ ઉપયોગ અંગે તથા ખેતીપાકોમાં નવીનતમ ટેકનોલોજી વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.


