
અમદાવાદઃ ભાવપૂર્વક પૂજન અને જળાભિષેક કર્યા હતા. મુખ્યમંત્રી ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે ચાલી રહેલા સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં પણ સહભાગી થયા હતા. દરમિયાન રાજ્યમાં યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ થી વધુ રામ નામ લખાયા હતા.
આ “સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ” નો પ્રારંભ દેશના PM નરેન્દ્ર મોદીએ તાજેતરની તેમની ગુજરાત મૂલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે સૌપ્રથમ રામ નામ લખીને કરાવ્યો હતો. આ રામનામ મંત્ર લેખન યજ્ઞની પરંપરાને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે પાંચમી નવેમ્બરે તેમની સોમનાથ મુલાકાત દરમિયાન ત્યાંના રામ મંદિરમાં મંત્ર લેખનમાં જોડાયા હતા.
સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે, વિસર્જન બાદ સર્જનની આ મહાગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે. સોમનાથમાં લખાયેલ રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે. જે રીતે ભગવાન રામની સેના દ્વારા રામ નામ લખી સમુદ્ર પર રામસેતુ નિર્માણ કરાયો હતો, તેવી જ રીતે સંઘર્ષપૂર્ણ ભૂતકાળથી આગળ વધી નવા ભારતના ભાગ્યોદય સુધીનો રામનામ લેખન સેતુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નિર્માણ થઈ રહ્યું છે.
યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ થી વધુ રામ નામ લખાયા હોય એ પ્રમાણ છે કે ભાવિકોએ આ યજ્ઞ ને આત્મસાત કર્યો છે. સોમનાથમાં દેવાધિદેવ મહાદેવ અને શ્રી રામ પ્રભુના સાનિધ્યમાં રામ નામ લેખન આત્માને પ્રસન્નતા આપે છે. શ્રી રામ નામ લેખન યજ્ઞમાં જોડાઈને મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે સોમનાથ થી અયોધ્યા રામ નામ લેખન યજ્ઞમાં જોડવાનો ધન્ય અવસર મળ્યો છે.