
અમદાવાદઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંતસિંહા ચૂંટણીના પ્રચારાર્થે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાલ દેશમાં અઘોષિત આપાતકાલ (કટોકટી) લાગુ છે. પત્રકારો પર હુમલો થાય છે. વાણી સ્વતંત્રતા ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યો છે, ગુજરાતમાં વારંવાર ધારા 144 લગાવવી પડે છે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયાં બાદ ગુજરાતમાં ધારાસભ્યોનો સંપર્ક કરવા આવી પહોંચેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિન્હાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જર્મનીએ પણ ચિંતા વ્યકત કરી છે કે ભારતમાં વાણીસ્વતંત્રતા ખતમ થઈ રહી છે, ભારત સરકારે વિરોધ કર્યો છે પણ આપણે જાણીએ છીએ કે આ સાચું છે. ગુજરાતમાં સાંભળીને નવાઈ લાગી છે કે ગુજરાતમાં હજુય 144 કલમ લાગુ છે. ગુજરાતમાં ક્યાં ખતરો છે. ગુજરાતમાં સામાજિક કાર્યક્રમો માટે પરવાનગી લેવી પડી રહી છે. આપાતકાળમાં પણ આવું નહતું, જે આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે સમાજને સાંપ્રદાયિક રીતે વહેંચવામાં આવી રહ્યો છે. આપણે આ થતું રોકવું પડશે, આવું થયું તો બધું નષ્ટ થઈ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી અડવાણીજી અને અટલજી જીતીને ગયા હતા. બંને ઈમરજન્સી સમયે લડ્યા હતા, આજે એમની પાર્ટી ઈમરજન્સીમાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણી આ વખતે માટે એક પદની લડાઈ નથી, કોણ ખુરશી પર બેસશે એની લડાઈ નથી. જે રાષ્ટ્રપતિ બનશે શું એ સંવિધાન બચાવવનો પ્રયાસ કરશે? રબ્બર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ હશે તો આ પ્રયાસ નહીં થાય. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે તેમણે કહ્યુ કે, હું કયા સંપ્રદાય અને જાતથી આવું છું એ મહત્વનું નથી. લડાઈ વિચારધારાની છે. દેશની જનતા વોટ નથી કરતી, એમએલએ અને એમપી વોટ કરશે. પણ જે વોટ આપવાના છે એ તમામ તેમની જનતા લોકોની વિરુદ્ધમાં મત નાં આપી શકે. આ સિક્રેટ મતદાન હશે, પણ આમાં વ્હિપ નથી હોતો, તમામ ધારાસભ્યો, સાંસદોએ પોતાના વિવેકનો ઉપયોગ કરે. સંવિધાનને ધ્યાનમાં રાખીને સૌ મત કરે એવી મારી અપીલ છે. આજે જે લડાઈ છે, એ પદની ચૂંટણી કરતા મોટી લડાઈ છે. આ લડાઈ દેશનું ભવિષ્ય નક્કી કરશે. 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ ચૂંટાતા હોય તો એ ઘણું બદલી શકે છે. હું એવું નથી કહેતો કે રાષ્ટ્રપતિ અને પીએમ વચ્ચે ટકરાવ થાય, બસ જે તે વ્યક્તિ સંવિધાન મુજબ કરવાનું કામ કરે તે જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં ભયંકર બેરોજગારી છે, આંકડાઓ મુજબ બેરોજગારી સતત ઘટી રહી છે. અર્થવ્યવસ્થા ગતિમાં આગળ વધશે તો જ રોજગારી વધશે. નોટબંધી થઈ, એ વખતે વાર્ષિક વિકાસ દર 8 ટકા હતો, જે પડતા પડતા 4 ટકાએ આવ્યો, કોરોનામાં એ દર માઈનસમાં ગયો. સરકારી આંકડાઓ વિશે નહીં કહું, પણ વિશ્વસનીયતા ખતમ થઈ રહી છે. આંકડાઓનું મેન્યુપ્યુલેશન થઈ રહ્યું છે, અર્થવ્યવસ્થા ઘોર સંકટમાં છે. મોંઘવારી, રૂપિયાની પડતી કિંમત ચિંતાનો વિષય છે.