
ભાવનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરથી સોમનાથ અને ભાવનગરથી પોરબંદર સુધીની બે ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ભાવનગરથી હરિદ્વાર સુધીની ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ વધુ બે ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગરના લોકોને સોમનાથ દર્શન માટે જવા ટ્રેનની સુવિધા મળશે. હાલ ભાવનગર- જેતલસર વચ્ચે દોડતી દૈનિક ટ્રેનને વેરાવળ – સોમનાથ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આથી ભાવનગર અને સોમનાથ રેલ માર્ગે જોડાઈ જશે. બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય રેલવેએ કર્યો છે, જેમાં ભાવનગર-જેતલસરની અન્ય એક ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવશે.
રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાવનગરથી સોમનાથ અને ભાવનગરથી પોરબંદરની સીધી ટ્રેન સેવા અંગે જાહેરાત કરી છે. આ અંગે સતાવાર જાહેરાત અને ટ્રેન સેવાનો કંઈ તારીખથી પ્રારંભ થશે તે અંગેની વિગતો હજુ જાહેર કરાઈ નથી. પરંતુ ભાવનગર રેલવે ડિવિઝનના ડીસીએમ માશુક અહમદે ભાવનગર-સોમનાથ અને ભાવનગર- પોરબંદરની સીધી ટ્રેન સેવા આગામી દિવસોમાં શરૂ થઈ રહી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આમ, ભાવનગર અને સોમનાથ રેલવે માર્ગ જોડાઈ જશે. ભાવનગર પોરબંદર વચ્ચે બ્રોડગેજ પૂર્વે ટ્રેન વ્યવહાર હતો જે હવે પુનઃ સ્થાપિત થઈ રહ્યો છે. જયારે ભાવનગર સોમનાથ પ્રથમ વખત રેલવે માર્ગે જોડાશે. ભાવનગરથી હરિદ્વારની સીધી ટ્રેન સેવા બાદ હવે ભાવનગરથી સોમનાથની ટ્રેન સેવા માટે ઉજળા સંજોગો ઊભા થતા યાત્રિકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
રેલ રાજય મંત્રી દર્શનાબેન જરદોશે કરેલી જાહેરાત મુજબ ગુજરાતની જનતાની માંગણીઓ મુજબ ટ્રેનોનું ડાયવર્ઝન/વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેન નં. 09568/65 ભાવનગર – જેતલસર પેસેન્જરને પોરબંદર સુધી લંબાવવામાં આવી છે. જયારે ટ્રેન નં. 09566/67 ભાવનગર – વેરાવળ પેસેન્જરને વેરાવળ (સોમનાથ) સુધી લંબાવવામાં આવી છે.