પૂછતા હૈ ભાજપ: કોંગ્રેસને રામ, ગામ અને કામ સાથે શું વાંધો છે?
[અલકેશ પટેલ] ગાંધીનગર, 6 જાન્યુઆરી, 2026: What is the problem with Congress with Ram, village and work? કોંગ્રેસને મૂળભૂત રીતે રામના નામ સામે વાંધો વાંધો હોય એવું જણાય છે તેમ જણાવી ભારતીય જનતા પાર્ટીએ આજે આક્ષેપ કર્યો હતો કે હકીકતે મુખ્ય વિપક્ષને રામ, ગામ અને કામ ત્રણે સામે વાંધો છે.
ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે આજે 6 જાન્યુઆરીને મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મનરેગા યોજનાનું નામ બદલીને વિકસિત ભારત-જી રામ જી ગેરંટી યોજના (VB-G RAM G) કરવામાં આવ્યું તે વિશે વાત કરી હતી.
શું કહ્યું જગદીશભાઈ વિશ્વકર્માએ?
પત્રકાર પરિષદને સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દેશના 140 કરોડ નાગરિકોની સુખાકારી માટે કામ કરી રહી છે. છેલ્લા 11 વર્ષથી ચાલી રહેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને ગુજરાત ભાજપ પ્રમુખે જણાવ્યું કે, જી રામ જી યોજના દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું કે, અગાઉની મનરેગા યોજનામાં સકારાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે. મનરેગા 2005માં શરૂ થઈ હતી ત્યારબાદ દેશના સામાજિક જીવનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યા છે. ગ્રામ્ય ગરીબી 2011-12માં 25.7 ટકા હતી તે 2023-24માં ઘટીને 4.86 ટકા થઈ છે. 2005નું બનાવેલું મનરેગાનું જૂનું મોડલ આજની ગ્રામ્ય વ્યવસ્થાને અનુરૂપ ન રહેતાં 2025ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ યોજનામાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ બંને યોજનાની સરખામણી કરતા કહ્યું કે, મનરેગામાં 100 દિવસના કામની ગેરંટી હતી જ્યારે વિકસિત ભારત જી રામ જી 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે. તેમણે ઉમેર્યું કે, મનરેગામાં 15 દિવસે વેતન ચૂકવવામાં આવતું હતું જ્યારે વિકસિત ભારત જી રામ જી યોજનામાં અઠવાડિયે વેતન ચૂકવવામાં આવે છે. મનરેગા મજૂરી કામ પૂરતી મર્યાદિત યોજના હતી જેની સામે વી-બી જી રામ જી યોજનામાં માત્ર વેતન નહીં પરંતુ સાથે સાથે કૌશલ્યનો વિકાસ થાય એ સુનિશ્ચિત કરવાનો છે. વિકસિત ભારતના લક્ષ્યાંકમાં ગ્રામીણ શ્રમિકને માત્ર મજૂર તરીકે નહીં પરંતુ ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે તૈયાર કરવાનો ઉદ્દેશ છે તેમ તેમણે કહ્યું હતું. આ યોજનામાં રિયલ ટાઈમ ડેટા મેળવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વ્યવસ્થાને કારણે નકલી જોબકાર્ડ અને ફર્જી લાભાર્થીઓને ખાળી શકાશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે?
આ પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું કે, આ યોજનાનું માત્ર નામ નથી બદલાયું પરંતુ તેમાં સમય મુજબ આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં દરેક નિર્ણયમાં લોકહિત રહેલું છે, પરિણામે દેશના વિકાસને નવી ગતિ – નવી દિશા મળી છે. તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ ગરીબો વધુ સશક્ત બને તે માટે મનરેગામાં સુધારો કરીને વિકસિત ભારત જી રામ જી યોજના કરવામાં આવી છે. તેને કારણે લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા મળશે.


