
CISF ના પ્રમુખ સુબોધ કુમાર જયસ્વાલને નવા CBI ડાયરેકટર બનાવવામાં આવ્યા
- CBI ના નવા બોસ બન્યા સુબોધકુમાર જયસ્વાલ
- મહારાષ્ટ્ર ATS ના રહી ચુક્યા છે ચીફ
- બે વર્ષ માટે રહેશે કાર્યકાળ
દિલ્હી:સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના નવા ડિરેક્ટરના નામની આખરે મંગળવારે જાહેરાત કરવામાં આવી છે. આઈપીએસ સુબોધકુમાર જયસ્વાલની સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બે વર્ષ માટે જ રાખવામાં આવી છે. હાલમાં સુબોધકુમાર જયસ્વાલ સીઆઈએસએફના પ્રમુખ પદ પર તૈનાત છે.
1985 ની બેચના મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી સુબોધકુમાર જયસ્વાલ મુંબઇના પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના ડીજીપી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેણે આઈબી અને રોમાં પણ કામ કર્યું છે. અગાઉ સીબીઆઈના નવા ડિરેક્ટરના નામમાં ત્રણ નામ મોખરે હતા, જેમાં યુપી પોલીસ ડીજી એચ.સી. અવસ્થી, આર.કે.ચંદ્ર અને વી.એસ.કે. કામુદીનો સમાવેશ થાય છે. વી.એસ.કે.કામુદી એ આસામ-મેઘાલય કેડરના 1984 બેચના આઈપીએસ અધિકારી અને રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ છે.
આ સિવાય સુબોધકુમાર જયસ્વાલનું પણ નામ સામે આવ્યું હતું. સીબીઆઈ ડિરેક્ટરનું નામ નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક મળી હતી. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જે સમિતિએ આ નિર્ણય લીધો તેમાં વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરી અને ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રમણા પણ સામેલ હતા.
ફેબ્રુઆરીમાં આર.કે. શુક્લાની નિવૃત્તિ પછી સીબીઆઈ ડિરેક્ટરની જગ્યા ખાલી પડી છે. આર.કે. શુક્લાની નિવૃત્તિથી લઈને પૂર્ણ-સમયના વડાની નિમણૂક સુધી, સીબીઆઈના વરિષ્ઠ મોસ્ટ એડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિન્હાનો હવાલો સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી.