
અમદાવાદઃ રાજ્યમાં વાહનોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. હાઈવે પર વાહનોનું ભારણ વધતું જાય છે. બીજીબાજુ ઘણાબધા વાહન ચાલકોમાં યોગ્ય ટ્રાફિક સેન્સ ન હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. સરકાર-પોલીસતંત્ર તેનો હલ કાઢવા વિવિધ પગલા લઈ જ રહી છે. જયારે હવે હાઈવે પણ આડેધડ ડ્રાઈવીંગ રોકવા માટે પગલા લેવાની તૈયારી કરવામાં આવી છે. ટ્રાફીક વિભાગનાં એડીશ્નલ ડીજીપી પિયુષ પટેલના કહેવા પ્રમાણે વાહન અકસ્માતો રોકવા માટે ટ્રાફિક સીસ્ટમમાં ધરખમ બદલાવની તૈયારી કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના માર્ગો પર અને હાઈવે પર અકસ્માતો ઘટાડવા તેમજ ટ્રાફિક જામ ન થાય તે માટે ડીજીટલ ઉપકરણો મારફત વોચ રાખવામાં આવશે. રાજયના તમામ હાઈવે પર વાહનોની ઓવરસ્પીડ ચકાસવા માટે 45 સ્પીડ વાન ખરીદવામાં આવી રહી છે. તમામ જિલ્લાને તે અપાશે.રાત્રી દરમિયાન વાહનો આડેધડ-મારધાડ ઝડપે દોડતા હોય છે તેની ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત વિવિધ હાઈવે પરનાં જોખમી સ્થળોએ 200 થી વધુ હાઈ રીવોલ્યુશન કેમેરા ફીટ કરવામાં આવશે તેના આધારે ટ્રાફીક નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે.
આ ઉપરાંત સ્ટેટ ટ્રાફીક બ્રાંચને હાઈવે પર નિયમ ભંગ કરતા વાહનોને પકડવા માટે વધુ 40 ઈન્ટર સેપ્ટર વાહનો આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફીક નિયમનો ભંગ કરીને નાસી જતાં વાહન ચાલકોની પાછળ જઈને તેને પકડવાનો વ્યુહ છે. સુત્રોના કહેવા પ્રમાણે ટ્રાફીક કાર્યવાહી હવે સખ્ત કરવાનું નકકી થયુ છે. વાહન ચાલકો પાસે વાહનના દસ્તાવેજો નહી હોય તે સ્થળ પર જ ચલણ ઈસ્યુ કરાશે. ટ્રાફીક તંત્રનું એવુ માનવુ છે કે હાઈવે પર તો અકસ્માતો થાય જ છે પરંતુ શહેરને જોડતા હાઈવે પર શહેરોની ભાગોળે પ્રાણઘાતક અકસ્માતો ચિંતાજનક છે અને તે રોકવા માટે પણ ખાસ રણનીતિ નકકી કરવામાં આવી રહી છે.