
-ત્રણ નવી મેડિકલ કોલેજની જાહેરાત
-દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે.
– સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે
–12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2022-23નું 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજુ કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે નાણા મંત્રીએ નવા કરવેરા વિનાનું ફુલગુડ બજેટ રજુ કર્યું હતું. બજેટમાં બોટાદ, વેરાવળ, જામખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે. સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે. આમ બજેટમાં પ્રજા કલ્યાણ માટેની અનેક જાહેરાતો કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું હતુ. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ હતું કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ છે. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. બજેટમાં કોઈ નવા કરવેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ બનાવવામા આવશે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે તેવી બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્યના નાણા મંત્રીએ વિધાનસભામાં આજે રજુ કરેલા બજેટમાં જે આકર્ષક જાહેરાતો કરવામાં આવી હતી જેમાં સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે, 3 લાખ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ અપાશે. દિવ્યાંગો માટે 24 કલાક વીડિયો હેલ્પલાઈન શરૂ કરાશે., લિંબાયત, જસદણ, બગસરા,પાલીતાણા, વરાછા, સંતરામપુરમાં નવી સરકારી કોલેજો શરૂ કરાશે. તેમજ સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ બનાવવામાં આવશે. નિરાધાર વૃદ્ધ પેન્શનમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવશે. 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન અપાશે. આદિવાસી વિસ્તારોમાં 500 નવા મોબાઈલ ટાવર આગામી 2 વર્ષમાં બનાવાશે., ગ્રામ્ય કક્ષાએ સારી કનેક્ટિવિટી માટે ફ્રી વાઈ ફાઈની સુવિધા અપાશે, પ્રથમ તબક્કામાં 4 હજાર ગામોમાં ફ્રી વાઈફાઈ અપાશે
આ ઉપરાંત નાણા મંત્રીએ વધુ જાહેરાત કરી હતી કે, બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે, દિવ્યાંગ પેન્શન યોજનામાં 1000 રૂપિયા માસિક પેન્શન અપાશે, 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 900 રૂપિયા અપાશે. દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે, 11 લાખ વિદ્યાર્થીઓને એસટીનો મફત પાસ અપાશે, શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ભોજનનો દર રૂપિયા 10 થી ઘટાડીને 5 રૂ કરાશે. આંતરજ્ઞાતિય લગ્નમાં સહાય 2 લાખ 50 હજાર રૂપિયા અપાશે. તેમજ સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બિલિમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે. મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે અને પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય અપાશે.
ગુજરાતના આ વર્ષના બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7737 કરોડની જોગવાઈ કરાવામાં આવી છે. જેમાં પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે 2310 કરોડની જોડવાઈ, કૃષિ યાંત્રિકીકરણ મશીનરી ખરીદીમાં સહાય માટે 260 કરોડની જોગવાઈ ફાળવાઈ. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે 213 કરોડની જોગવાઈ, ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડની જોગવાઈ, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત 81 કરોડની જોગવાઈ ફાળવાઈ. તો ડ્રોનના ઉપયોગથી ખાતર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા 35 કરોડની જોગવાઈ ફાળવાઈ. રાસાયણિક ખાતર પૂરું પાડવા અને ખાતર સંગ્રહ માટે 17 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.