
વડોદરામાં મ્યુનિ.એ દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન વર્ષો જુનું મંદિર તોડી પાડતાં સ્થાનિકોનો વિરોધ
વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાઓ પર દબાણો હટાવવાની ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં વાઘોડિયા રોડ સ્થિત ચીમનલાલ પાર્ક પાસે 80 વર્ષ જૂનું ભાથુજી મહારાજનું મંદિર તોડી પડાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તા અને સ્થાનિક લોકો દ્વારા મંદિરના અવશેષ સાથે મ્યુનિ કોર્પોરેશન કચેરી સામે દેખાવો કરવામાં આવ્યા હતા.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભાથીજીનું મંદિર તોડવાના વિરોધમાં સ્થાનિક રહીશોએ મ્યુનિ. સત્તાધિશોને એવી રજુઆતો કરી હતી કે, રસ્તા પર નડતરરૂપ બિલ્ડરોના દબાણો અને લઘુમતી કોમના ધાર્મિક સ્થાનો તોડાતા નથી અને મંદિર તોડવામાં આવે છે. સ્થાનિક લોકોએ મ્યુનિ કચેરી સામે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક રહીશો મંદિરના અવશેષ લઈને આવ્યા હતા
સૂત્રોના જણાવ્યા મુજબ વાઘોડિયાના પૂનમ કોમ્પ્લેક્સની સામે આવેલા રામવાટીકા રોડ ઉપર વર્ષો જૂની ભાથુજી મહારાજની દેરી હતી.આ વિસ્તારના લોકો આ દેરીમાં આસ્થા સાથે પૂજા- અર્ચના કરતા આવ્યા છે. મ્યુનિ.ના દબાણ શાખા ટીમ દ્વારા દેરી તોડી પાડવામાં આવ્યા બાદ સ્થાનિક રહીશોએ સ્થળ પર હોબાળો મચાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તે દરમિયાન કોઈ વ્યક્તિએ બે ચાર પથ્થરો ફેંકતા વાતાવરણ વધુ તંગ બને તેવી પરિસ્થિતિ સર્જાતા પોલીસે 5 થી 6 વ્યક્તિની અટકાયત કરી હતી અને મામલો શાંત પાડ્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોની આગેવાનીમાં ભાથીજી મહારાજની દેરી તોડવાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને સાથે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન ઉપર આક્ષેપ કર્યો હતો કોઈપણ નોટિસ આપ્યા વિના દેરી તોડવામાં આવી છે. આ અંગે સ્થાનિક રહીશોને વડોદરાના મેયરએ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવતા મામલો શાંત પડ્યો હતો.