નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ઈઝરાયેલ મુલાકાત અને ત્યારબાદ ઈરાન પર થયેલા સૈન્ય હુમલાને લઈને ઉઠેલા તમામ તર્ક-વિતર્કો પર ભારત સરકારે આજે સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ઈરાન પરના હુમલા અંગે ઈઝરાયેલ દ્વારા ભારત સાથે કોઈ પણ પ્રકારની પૂર્વ ચર્ચા કરવામાં આવી નહોતી. એટલે કે, આ સૈન્ય કાર્યવાહી વિશે ભારત સરકારને અગાઉથી કોઈ જાણકારી નહોતી.
નોંધનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલની મુલાકાત લીધી હતી, જે દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો થયા હતા. આ મુલાકાતના થોડા સમય બાદ, 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલો કરવામાં આવ્યો હતો. પીએમની મુલાકાત અને હુમલાના સમયગાળાને જોતા આંતરરાષ્ટ્રીય સ્તરે એવા સવાલો ઉઠી રહ્યા હતા કે શું ભારતને આ હુમલાની પૂર્વ જાણકારી હતી?
વિદેશ મંત્રાલયના આ ખુલાસાને અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે, ભારતે પ્રથમ વખત ઈરાન યુદ્ધ અને તેમાં પોતાની જાણકારી કે ભૂમિકા અંગે આટલું સ્પષ્ટ વલણ અપનાવ્યું છે.
ભારત હંમેશા પશ્ચિમ એશિયામાં શાંતિનો પક્ષધર રહ્યું છે. સરકારના આ નિવેદનથી એ સાબિત થાય છે કે ઈઝરાયેલ સાથેના ગાઢ સંબંધો છતાં, વ્યૂહાત્મક સૈન્ય હુમલાઓ જેવી બાબતોમાં ભારત સહભાગી નથી.
ઈરાન અને ભારત વચ્ચેના ઐતિહાસિક અને આર્થિક સંબંધો (ખાસ કરીને ચાબહાર પોર્ટ અને ઊર્જા ક્ષેત્રે) જોતા, ઈરાન પરના હુમલામાં ભારતની ‘મૌન સંમતિ’ હોવાની અફવાઓ ભારતની વિદેશ નીતિ માટે પડકારરૂપ બની શકે તેમ હતી. સરકારની આ સફાઈથી મધ્ય પૂર્વના દેશો સાથેના ભારતના સંતુલિત સંબંધો જળવાઈ રહેશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
વધુ વાંચો: ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે ભારતે ઈરાનથી 1,200 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા


