
- સામખિયાળીથી મોરબી સુધી હાઈવે પર ઠેર ઠેર ખાંડા પડ્યા,
- ખીરઈ પાસે એક કિમી સુધી રોડ તૂટી ગયો,
- આજે ભારે વાહનો માટે નિર્ણય લેવાશે
મોરબીઃ મચ્છુ-2 ડેમના છોડાયેલા પાણી કચ્છ-મોરબી હાઇવે પરથી ફરી વળતાં તંત્ર દ્વારા 36 કલાક હાઈવે બંધ કરાયો હતો. જો કે, ગઈકાલે બુધાવારે નાના વાહનો માટે આ હાઇવે પુન: શરૂ કરવામાં આવ્યો હતો. જોકે ભારે વાહનોને મંજુરી આપવામાં આવી નહતી. હાલ વરસાદને કારણે હાઈવે પર ઠેર ઠેર મોટા ગાબડાં પડી ગયા છે. જેમાં ખીરઇ પાસે એક કિલોમીટર સુધી હાઇવે તૂટી જતાં વાહનો ચલાવવા મુશ્કેલ છે. ખીરઇ પાસે હાઇવે પર ભારે ધોવાણ થયેલા માર્ગનું સમારકામ કરતા એક દિવસ જેટલો સમય લાગી શકે છે. ટોલ કંપનીના અધિકારી સાથે વાત તેમણે જણાવેયું હતું કે, તેમની ટીમ રોડનું સમારકામ કરવામાં લાગી ગઈ છે અને એકાદ દિવસમાં સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે.
મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યાં હતાં. જેથી કરીને આ નેશનલ હાઇવે મંગળવારે સવારે 10:00 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો હતો. આથી કચ્છ સાથે મોરબી અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને અમદાવાદનો સંપર્ક તૂટી ગયો હતો. મોરબી અને સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાંથી તથા અમદાવાદ બાજુથી કચ્છમાં જતી એસટીની લગભગ 100 કરતાં વધુ બસોના પૈડા થંભી ગયા છે. એક સાઇડનો સિંગલ પટ્ટી રોડ વાહનોના ટેસ્ટીંગ કરી ફરી શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની તથા ગુજરાતની કુલ મળીને 100 જેટલી બસો દૈનિક કચ્છમાં આવતી જતી હોય છે. જે બસો હાલમાં નેશનલ હાઇવે બંધ એસટી બસનો વ્યવહાર પણ થંભી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ કચ્છ પોલીસ અને સામખિયાળી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામખિયાળી હાઇવે પર અલગ-અલગ જગ્યાએ બેરિયર રાખીને વાહનોને ડાયવર્ટ કરીને અમદાવાદ જતા વાહનોને વાયા રાધનપુર તરફ જવા દેવામાં આવી રહ્યા છે. મોરબી, રાજકોટ, જામનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને સામખિયાળીની આસપાસ હોટલો પર ઉભા રાખી દેવામાં આવ્યા હતા જોકે બુધવારે ઇમરજન્સી અને નાના વાહનો શરૂ કરાયા છે ત્યારે આવા કપરા સમયે પોલીસે ટ્રાફિક ન થાય એ રીતે વ્યવસ્થા ગોઠવી વાહનો પાર્ક કરાવ્યા છે. સામખિયાળી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર. પટેલ હાઇવે પર સતત પટ્રોલીંગ કરી રહ્યા છે.