1. Home
  2. PM મોદીએ જણાવ્યું કેમ ઉઠાવ્યો હતો રાજીવ ગાંધી અને INS વિરાટનો મુદ્દો

PM મોદીએ જણાવ્યું કેમ ઉઠાવ્યો હતો રાજીવ ગાંધી અને INS વિરાટનો મુદ્દો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાજીવ ગાંધી અને INS વિરાટનો મુદ્દો તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ સામેથી આપ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મોદીની ઇમેજ ખરાબ કરવા માંગે છે, પરંતુ મોદીની ઇમેજ ખાન માર્કેટ કે લુટિયન્સ ગેંગ દ્વારા બનાવવામાં નથી આવી જેને કોઈ તાર-તાર કરી શકે. ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં મોદીએ આ વાત કહી છે.

ઉલ્લેખનીય છે કે ગત 8 મેના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની રજાઓનો મુદ્દો ઉઠાવીને પૂછ્યું હતું કે શું તમે સાંભળ્યું છે કે કોઈ પોતાના પરિવારની સાથે યુદ્ધજહાજ પર રજાઓ માણવા માટે જાય? પીએમ મોદીએ કહ્યું હતું કે દેશની રક્ષા કરવાવાળાઓને પોતાની જાગીર કોણ સમજે છે? આ પણ હું દિલ્હીની ધરતી પરથી તે લોકોની આંખમાં આંખ પરોવીને દેશ અને દિલ્હીની જનતાને જણાવવા માંગું છું. કોંગ્રેસના નામદાર પરિવારે આઇએનએસ વિરાટનો ખાનગી ટેક્સી તરીકે ઉપયોગ કર્યો, તેનું અપમાન કર્યું હતું. આ ત્યારની વાત છે જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને 10 દિવસની રજાઓ ગાળવા નીકળ્યા હતા.

ઇન્ટરવ્યુમાં જ્યારે પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે આઇએનએસ વિરાટનો મુદ્દો ક્યાંથી આવ્યો, તો તેમણે કહ્યું, ‘આ કોઈ નવો મુદ્દો નથી. કોંગ્રેસ અધ્યક્ષે જ્યારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સેના મોદીની ખાનગી જાગીર નથી. તમે બધાએ (મીડિયાએ) આ વાત પર ધ્યાન ન આપ્યું. પછી મારે કહેવું પડ્યું કે વ્યક્તિગત જાગીર શું હોય છે. રાજીવ ગાંધીનો મુદ્દો મારો નથી. તમે તેમની મદદ કરવા માંગતા હોવ તો રાજીવ ગાંધીના મુદ્દાને હાઇલાઇટ કરી શકો છો. તે તમારો નિર્ણય છે.’ પીએમ મોદીએ કહ્યું કે આ ચીજો ત્યારે પણ મીડિયામાં છપાઈ હતી, ત્યારે કોઈ એડમિરલ નિવેદન આપવા આવ્યો નહોતો. કહે છે ને કે, ‘બાત નીકલેગી તો દૂર તલક જાયેગી.’

પીએમ મોદીએ કહ્યું કે આ રીતે મેં વાંચ્યુ કે ઝારખંડમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદીની ઇમેજને ખરાબ કરવા માંગે છે. તેઓ કોઈ પણ રીતે મારી ઇમેજને બગાડવા માંગે છે. મોદીએ કહ્યું, ‘મોદીની ઇમેજ દિલ્હીના ખાન માર્કેટની ગેંગે નથી બનાવી, લુટિયન્સે દિલ્હીએ નથી બનાવી. 45 વર્ષોની મોદીની તપસ્યાએ તેની ઇમેજ બનાવી છે. સારી કે ખરાબ જેવી હોય તેવી. તમે તેને ખરાબ ન કરી શકો. પરંતુ લુટિયન્સ અને ખાન માર્કેટ ગેંગે એક પૂર્વ વડાપ્રધાનની ઇમેજ ‘મિસ્ટર ક્લીન, મિસ્ટર ક્લીન’ની બનાવી હતી, તે કેવી રીતે ખતમ થઈ ગઈ?’

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code