અમદાવાદમાં રામ નવમી સ્પેશિયલ – મુખૌટે 47 નેશનલ આર્ટ પ્રદર્શનનું આયોજન
અમદાવાદ, 26 માર્ચ 2026: શહેરના કલાજગતમાં એક નવું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. ‘મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા ‘રામ નવમી સ્પેશિયલ – મુખૌટે 47’ શીર્ષક હેઠળ નેશનલ આર્ટ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં દેશના નામાંકિત અને ઉભરતા કલાકારોની વિવિધ કલામય કૃતિઓનું જીવંત પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી કોકિલા જી. પટેલના હસ્તે 26 માર્ચ 2026, ગુરુવારના રોજ સાંજે 5:30 વાગ્યે કરવામાં આવશે.
‘મુખૌટે 47’ પ્રદર્શનમાં કલાના વિવિધ પાસાઓ જેવા કે આકર્ષક ચિત્રો, સંવેદનશીલ ફોટોગ્રાફી, બેનમૂન શિલ્પો અને કલાત્મક પોટરી રજૂ કરવામાં આવશે. કલાપ્રેમીઓ માટે આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તેઓ એક જ છત નીચે વિવિધ શૈલીની કલાઓને નિહાળી શકશે. આ પ્રદર્શનમાં કોકિલાબેન જી. પટેલ સહિત નીલુ પટેલ, ક્રિસ્ટી વોરા, હેતલ ગજ્જર, જય ગજ્જર, જ્યોતિકા પંચાલ, કોમલ શુક્લા, નયના મેવાડા, પ્રાચી કડિયા, સંગીતા રાથોડ અને શ્રુતિ સોની જેવા નામાંકિત કલાકારો પોતાની શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શિત કરશે.
આ પ્રદર્શન તા. 26 માર્ચથી 31મી માર્ચ સુધી દરરોજ સાંજે 4થી 8 વાગ્યા સુધી મુખૌટે આર્ટ ગેલરી, એસ.પી.કોલોની પાસે, સ્ટેડિયમ રોડ નારાણપુરા ખાતે યોજાશે. આ પ્રદર્શન તમામ કલાપ્રેમીઓ, કલા વિવેચકો અને સામાન્ય જનતા માટે ખુલ્લું રહેશે. મુખૌટે ફાઉન્ડેશન દ્વારા તમામ કલાપ્રેમીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


