સુરત ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો પ્રારંભ
- આ સમગ્રતાની ભાવના જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છેઃ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન અગ્રવાલ
- સુઈ રહેલાને જગાડી શકાય પણ જે જાગે છે એવા શિક્ષિત અને જાગૃત નાગરિકોમાં પણ કામ કરવાની આવશ્યકતા છેઃ મા. પ્રાંત સહ કાર્યવાહિકા જ્યોતિબેન ભંડારી
સુરત, 10 મે, 2026 સુરત ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિના ગુજરાત પ્રાંતના પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો શુભારંભ તારીખ 9 મે 2026 ના રોજ સુરતના ભગવાન મહાવીર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ખાતે થયો. પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત પ્રાંતના 11 વિભાગમાંથી 79 શિક્ષાર્થી 23 શિક્ષિકાઓ સહભાગી થયા. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સમિતિ કાર્યનો વિસ્તાર સમિતિ કાર્યનો દૃઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ મેળવશે. આ ઉપરાંત દૈનિક જીવનમાં સમયનું મહત્વ, સ્વચ્છતા, પંચ પરિવર્તન જેવા પાયાના વિષયો પર પણ પ્રશિક્ષણ આપવામાં આવશે.

ઘોષ વર્ગમાં એક સાથે એક લયમાં ઘોષવાદનનું પ્રશિક્ષણ આપવામાં આવશે. વર્ગ દરમિયાન વંદનીય પ્રમુખ સંચાલિકાજી માનનીય શાંતાક્કાજી, અખિલ ભારતીય સેવા પ્રમુખ માનનીય સંધ્યાબેન ટીપરે, મા. ક્ષેત્ર સંચાલિકા મંજુલાબેન પટેલ, મા. ક્ષેત્ર કાર્યવાહીકા રાજશ્રીબેન જાની, મા. પ્રાંત કાર્યવાહિકા નીતાબેન પ્રજાપતિ, મા. પ્રાંત સહ કાર્યવાહિકા જ્યોતિબેન ભંડારીનું પાથેય શિક્ષાર્થીઓને પ્રાપ્ત થશે.
આ પણ વાંચોઃ RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ
પ્રવેશ શિક્ષા વર્ગનો ઉદ્ઘાટન સમારંભ સુરતના માનનીય સુષ્માબેન અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે વર્ગના સર્વાધિકારી વૈશાલીબેન બાપટ, વર્ગ કાર્યવાહિકા સરોજબેન તોદી, ગુજરાત પ્રાંત સહકાર્યવાહીકા જ્યોતિબેન ભંડારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષા પૂર્વ ડેપ્યુટી મેયર માનનીય સુષ્માબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિ આવે સંઘર્ષ આવે તો આત્મવિશ્વાસ અને માનસિક સક્ષમતા સાથે સામનો કરવો એ આ વર્ગમાં શીખવાનું છે.
આ પણ વાંચોઃ બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ
આ સાથે ગુજરાત પ્રાંતના સહકાર્યવાહીકા માનનીય જ્યોતિબેન ભંડારીએ શિક્ષાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે આપણે સમાજ જાગરણના હેતુથી વ્યક્તિનિર્માણનું કાર્ય કરવાનું છે. સુઈ રહેલાને જગાડી શકાય પણ જે જાગે છે એવા શિક્ષિત અને જાગૃત નાગરિકોમાં પણ કામ કરવાની આવશ્યકતા છે અને એ કામ માટે આ વર્ગમાં પ્રશિક્ષણ લઈ સૌએ તૈયાર થવાનું છે.
રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રવેશ વર્ગ 9 મે થી 24 મે સુધી ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં ચાલશે. 24 મે ના રોજ આ વર્ગનો સમાપન સમારંભ યોજાશે.


