
સાળંગપુરમાં ભીતચિત્રોના વિવાદના મુદ્દે સ્વામિનારાયણ સંતોની બેઠકમાં સમિતિ રચવા નિર્ણય
અમદાવાદઃ સાળંગપુરધામમાં ભવ્ય હનુમાનજીની પ્રતિમાની નીચેના ભીંતચિત્રોએ મોટો વિવાદ સર્જી દીધો છે. આ ભીંતચિત્રોમાં હનુમાનજીને નિલકંઠવર્ણીને પ્રણામ કરતા દર્શાવાતા હનુમાનજીના ભક્તોની લાગણીને ઠેસ પહોંચી હતી. હનુમાનજીને નિલકંઠવર્ણીને પ્રણામ હોય એવા ચિત્રોના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો બિચક્યો હતો. ત્યારબાદથી હિન્દુ સમાજના સંતો, હિન્દુ સંગઠનના નેતાઓ અને કાર્યકરો, હનુમાન ભક્તો રોષે ભરાયેલા છે. રવિવારે સ્વામિનારાયણ સંતો અને સાધુ-સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં સ્વામીનારાયણ સંતો દ્વારા ચિત્રો હટાવવા માટે બે દિવસનો સમય માગવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની મોટી બેઠક મળી હતી. આ બેઠક બાદ કંઈક ચિત્ર પલટાયું હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીએ કહ્યુ હતુ કે, ‘સમગ્ર સ્વામિનારાયણ પરંપરાના સંતો સનાતન પરંપરાનો ભાગ છે. આ વિવાદનો સુખદ અંત આવે તે માટે સૌ સંતોએ કષ્ટભંજન દેવના ચરણોમાં એકસૂરે પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાન અને સત્સંગના અગ્રણીઓ સાથે સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા-વિચારણા કરી ટૂંક સમયમાં નિર્ણય લેશે અને આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય લેશે. આમ આ વિવાદ ઉકેલવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરાઈ છે.
વડતાલ મુખ્ય મંદિરના કોઠારી સ્વામીએ પ્રેસ કોન્ફરન્સમાં ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જ્યાં ભીંતચિત્રો હતા અને જે વાત હતી તેની જગ્યાએ સમિતિની રચના કરવાની વાત કરી છે. સમિતિમાં કોણ સભ્યો, ક્યારે નિર્ણય લેશે તેની પણ કોઈ જ ચોખવટ કરવામાં આવી નથી. સનાતન ધર્મના સંતોમાં એકબાજુ આક્રોશ છે, ત્યારે વડતાલ સંપ્રદાય હજી પણ નીચું જોખવા તૈયાર નથી.એવું લાગી રહ્યું છે. વિવાદ શાંત થવાની જગ્યાએ કોઠારી સ્વામીના નિવેદનથી વધુ ભડકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પોણા ત્રણ કલાક ચાલેલી મિટિંગના માત્ર 40 સેકન્ડમાં જવાબ આપી અને કોઠારી સ્વામીએ ચાલતી પકડી હતી.
સૂત્રોના કહેવા મુજબ સાળંગપુરના વિવાદ મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથેની અગાઉ મળેલી બેઠકમાં બે દિવસનો સમય માંગીને ભીંતચિત્રો હટાવવાનું આશ્વાસન અપાયુ હતું. ત્યારબાદ સ્વામિનારાયણ સંતોની બેઠકમાં લાંબી ચર્ચા બાદ પણ આ ભીંતચિત્રો હટાવવા માટે કોઈ નિર્ણય લેવાયો નથી. વડતાલ સંપ્રદાય હજુ નમતુ જોખવા માટે તૈયાર નથી. હાલ આ વિવાદનો અંત આવે તેવું લાગતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ વડતાલ મુખ્ય મંદિરના કોઠારી સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે 3 કલાકની બેઠકનો ટુંકમાં જવાબ આપીને ચાલતી પકડી હતી. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન પરંપરાનો એક ભાગ છે. આજે આ વિવાદનો અંત આવે તેવી તમામ સંતોએ કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો અને સત્સંગના અગ્રણીઓ સાથે અમે સંત સમિતિની નિમણૂંક કરી છે. જે ચર્ચા કરીને ટુંક સમયમાં નિર્ણય લેશે. સનાતન ધર્મના હિતનો નિર્ણય થશે. કષ્ટભંજનના દેવના અમને દ્રઢ વિશ્વાસ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક યોજાઈ હતી. જેમાં વિવાદિત ભીંચતિત્રો મુદ્દે ત્રણ કલાક સુધી ચર્ચા ચાલી હતી. આ બેઠકમાં આચાર્ય પક્ષના ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડતાલ અને ધોલેરા મંદિરના મહંત, ભુજ, અમદાવાદ, ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડના ચેરમેન હરીજીવન સ્વામી, માધવ સ્વામી સહિતના 50 જેટલા સંતો પહોંચ્યા હતા. તેમજ RSSના કાર્યકારી સદસ્ય રામ માધવ પણ હાજર રહ્યા હતા.