1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 12 વર્ષથી કોમામાં રહેલા યુવાનને આપી ઇચ્છામૃત્યુની મંજૂરી
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 12 વર્ષથી કોમામાં રહેલા યુવાનને આપી ઇચ્છામૃત્યુની મંજૂરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 12 વર્ષથી કોમામાં રહેલા યુવાનને આપી ઇચ્છામૃત્યુની મંજૂરી

0
Social Share

નવી દિલ્હી, 11 માર્ચ 2026: દેશની સર્વોચ્ચ અદાલતે એક અત્યંત સંવેદનશીલ અને ઐતિહાસિક ચુકાદો આપતા 32 વર્ષીય યુવાન માટે પેસિવ યુથેનેશિયા (નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ) ની મંજૂરી આપી દીધી છે. આ યુવાન છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી કોમામાં છે. પિતાની હૃદયદ્રાવક અરજી પર સુનાવણી કરતા કોર્ટે દર્દીનું આર્ટિફિશિયલ લાઈફ સપોર્ટ હટાવવાનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા નામના આ યુવાનની હાલત છેલ્લા 12 વર્ષથી અત્યંત ગંભીર હતી. તબીબી વિજ્ઞાનમાં સુધારાની કોઈ જ આશા ન જણાતા અને પુત્રની રોજબરોજની પીડા જોઈને આખરે તેના પિતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ પોતાના પુત્રને આ પીડામાંથી મુક્તિ અપાવવા માટે લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની મંજૂરી માંગી હતી, જેને કોર્ટે માન્ય રાખી છે. હરીશ રાણા વર્ષ 2013માં ઘરના ચોથી માળની નીચે પટકાયો હતો. માથીમાં ગંભીર ઈજાને પગલે એક દસકથી વધારે સમયથી યુવાન કોમામાં છે.

પેસિવ યુથેનેશિયા એક એવી તબીબી અને કાનૂની પ્રક્રિયા છે, જેમાં જીવવાની કોઈ જ શક્યતા ન હોય તેવા દર્દીને કુદરતી રીતે મૃત્યુ પામવા દેવામાં આવે છે. આ માટે તેને જીવંત રાખવા માટે અપાઈ રહેલી મેડિકલ ટ્રીટમેન્ટ અથવા ‘લાઇફ સપોર્ટ સિસ્ટમ’ (વેન્ટિલેટર વગેરે) ઇરાદાપૂર્વક રોકી દેવામાં આવે છે કે હટાવી લેવામાં આવે છે. ઇચ્છામૃત્યુની આ માંગ વાળી અરજી પર ચુકાદો સંભળાવતા જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે જીવન અને મૃત્યુના અધિકાર અંગે ઊંડાણપૂર્વક દાર્શનિક ટિપ્પણી કરી હતી.

કોર્ટે નોંધ્યું હતું કે, “ઈશ્વર કોઈ મનુષ્યને એ નથી પૂછતો કે તે જીવનનો સ્વીકાર કરે છે કે નહીં, જીવન તેને લેવું જ પડે છે. આ હેન્રી ડેવિડ થોરોના શબ્દો છે, જેનું વિશેષ મહત્વ ત્યારે ઉભરીને સામે આવે છે જ્યારે અદાલતો સમક્ષ એ સવાલ ઊભો થાય છે કે શું કોઈ વ્યક્તિને મરવાનો વિકલ્પ પસંદ કરવાનો અધિકાર છે?” કોર્ટે વધુમાં ઉમેર્યું કે, “આ જ સંદર્ભમાં વિલિયમ શેક્સપિયરનું પ્રસિદ્ધ કથન ‘ટુ બી, ઓર નોટ ટુ બી’ અર્થાત્ ‘જીવવું કે ન જીવવું’ પણ આ દાર્શનિક અને કાનૂની વિમર્શને ઊંડાણ પ્રદાન કરે છે.” આ ચુકાદો દેશમાં રાઇટ ટુ ડાય અને પેસિવ યુથેનેશિયાના કાયદાકીય પાસાઓ પર એક મહત્વનો માઈલસ્ટોન બની રહેશે.

ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઇમ્સને રાણાને પેલિએટિવ કેર યુનિટમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી તબીબી સારવાર બંધ કરી શકાય. બેન્ચે જણાવ્યું હતું કે રાણાની ગરિમા જાળવવા માટે ઉપચાર બંધ કરવાની પ્રક્રિયા સુઆયોજિત રીતે હાથ ધરવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ. અગાઉ, સુપ્રીમ કોર્ટે 31 વર્ષીય બાળકના માતાપિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે એઇમ્સ-દિલ્હીના ડોકટરોના સેકન્ડરી મેડિકલ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા રાણાના મેડિકલ હિસ્ટ્રી રિપોર્ટનો અભ્યાસ કર્યો હતો અને ટિપ્પણી કરી હતી કે તે એક દુઃખદ રિપોર્ટ હતો.

દર્દીની સ્થિતિની તપાસ કર્યા પછી, પ્રાથમિક તબીબી સમિતિએ ભાર મૂક્યો હતો કે તેના સ્વસ્થ થવાની શક્યતા ઓછી છે. 11 ડિસેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પ્રાથમિક તબીબી બોર્ડના રિપોર્ટ અનુસાર, દર્દીની સ્થિતિ દયનીય હતી. 2023 માં સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, કોમા દર્દી માટે કૃત્રિમ જીવન સહાયક પ્રણાલીઓ દૂર કરવા અંગે નિષ્ણાત અભિપ્રાય મેળવવા માટે પ્રાથમિક અને ગૌણ તબીબી બોર્ડની રચના કરવી આવશ્યક છે.

આ પણ વાંચોઃ યુપીના સંભલમાં મોટી કાર્યવાહી: જામા મસ્જિદના શાહી ઈમામ પર 6.94 કરોડનો દંડ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code