
શેઢી કેનાલમાં કેમિકલયુક્ત પાણીની બબાલ, અમદાવાદના પૂર્વ વિસ્તારને અપાતું પાણી બંધ કરાયું
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતી શેઢી કેનાલમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાની આશંકાને લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર દિવસથી રાસ્કા પ્રોજેક્ટનું પાણી બંધ કરી દેવાયુ છે. શેઢી કેનાલમાં પાણીમાં કેમિકલ હોવાની વાતની જાણ થતાં AMC અને GPCB દ્વારા પાણીના નમૂના લેવામાં આવતા પાણી કેમિકલયુક્ત હોવાનું જણાતા પાણીનું સેમ્પલ લઈને લેબ ટેસ્ટ માટે મોકલાયું છે. ખેડા જિલ્લાના માતર પાસે કેનાલમાં કેમિકલ નાખવામાં આવ્યું હોવાની જાણ થતાં જતાં પોલીસ અને GPCB ઘટનાસ્થળે પહોંચીને તપા, શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શેઢી કેનાલનું પાણી અમદાવાદના અડધા પૂર્વ વિસ્તારને પુરૂ પાડવામાં આવે છે. દરમિયાન પાણીમાં ઝેરી કેમિકલ હોવાનું જણાતા જ મ્યુનિ.કોર્પોરેશન અને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ તપાસ શરૂ કરી હતી. પાણીના નમૂનામાં કેમિકલ હોવાનું સામે આવ્યું છે. જો કે, સત્તાવાર રીતે આનો રિપોર્ટ જાહેર કરાયો નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં લીલ હોવાનું અને તેના કારણે પાણીનો કલર બદલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખેડા જિલ્લાના માતર પાસે કેનાલમાં કેમિકલ નાખવામાં આવ્યું હોવાની વાત વચ્ચે પોલીસ અને GPCB ઘટનાસ્થળે પહોંચી હતી. મંગળવાર સુધી પૂર્વ અમદાવાદને કોતરપુર વોટર વકર્સમાંથી પાણી પૂરું પાડવામાં આવશે. દરમિયાન વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, શેઢી કેનાલમાં જે કેમિકલયુક્ત પાણીની શંકાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં GPCBના રિપોર્ટમાં લીલ હોવાનું સામે આવ્યું છે. કેમિકલ હોવાની શંકાને પગલે તાત્કાલિક શેઢી કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. મંગળવાર સુધી રાસ્કાની જગ્યાએ કોતરપુર વોટર વર્કસમાંથી પાણી પૂરું પાડવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગમચેતી દાખવીને શહેરીજનો કેમિકલયુક્ત પાણી ન પીવે તે માટે તાત્કાલિક ધોરણે શેઢી કેનાલના પાણીના દરવાજા બંધ કરી દીધા હતા. રાસ્કા પ્રોજેક્ટમાં પાણી ફિલ્ટર થઈને પૂર્વ અમદાવાદને પૂરું પાડવામાં આવે છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે અમદાવાદના 10 લાખથી વધુ લોકોને કેમિકલયુક્ત પાણી ન મળે તેના માટે રાસ્કાની જગ્યાએ હાલમાં કોતરપુર વોટર વર્કર્સમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પૂર્વના નાગરિકોને રાસ્કા પ્રોજેક્ટ બંધ હોવાના કારણે પાણીનો જથ્થો કોતરપુર વોટર વર્કસમાંથી પુરું પાડવામાં આવશે, જેના કારણે ઓછો પાણીનો સપ્લાય થશે. પરંતુ નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે તેમ મ્યુનિ.ના અધિકારીઓ કહી રહ્યા છે.