
અમદાવાદઃ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સી-પ્લેન મેન્ટેનન્સને કારણે વારંવાર અનિયમિત રહેતા પ્રવાસીઓનો યોગ્ય પ્રતિસાદ ન મળતા છેલ્લા એક વર્ષથી બંધ છે. હવે નવેસરથી સી-પ્લેન સેવા શરૂ કરવા સરકારે બીડ મંગાવી છે. અને સરકાર વહેલી તકે સી-પ્લેન સેવા કાર્યરત થાય તે માટે ઉતાવળી બની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2020ના દિવસેથી શરૂ કરેલી સી પ્લેન ની સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે. સી પ્લેન ક્યારે શરુ થશે એની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સી પ્લેન માટે કેવડીયાનું વોટર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું હોવા છતાં એમાં નવી છત અને પ્રોટેક્શન વોલ, સુરક્ષા પોઇન્ટ બનાવવામાં આવી છે.એ જોતાં ટૂંક સમયમાં જ સી પ્લેન સેવા ફરી શરૂ થશે એવા એંધાણ વર્તાઈ રહ્યાં હતાં. આ તમામની વચ્ચે સરકારે સી પ્લેન સેવા નવી પોલિસી સાથે ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેથી હવે ટૂંક જ સમયમાં પ્રવાસીઓ “સી” પ્લેનનો લાભ લઈ શકશે. હાલ કેવડિયાના વોટર એરોડ્રામને નવરૂપ રંગ કરી નવો લુક આપવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આગામી સમયમાં “સી” પ્લેન સેવા નવી પોલિસી સાથે સરકાર શરૂ કરવા જઈ રહી છે. બંધ થયેલી “સી” પ્લેન સેવા ફરી શરૂ કરવા સરકારે રસ દાખવી બીડિંગ મંગાવ્યા હતા. બીડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુંબઈની એક કંપનીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે “સી” પ્લેન સર્વિસ ઓપરેટ કરવાનો કોન્ટ્રાકટ અપાયો છે. આ સેવાનો ફરી ફિયાસ્કો ન થાય એ માટે નવી પોલિસી મુજબ “સી” પ્લેન ચલાવવાનું નક્કી કરાયું છે. ગુજરાતના ટુરિઝમને વેગ મળે એ માટે શિવરાજપુરથી દ્વારકા વચ્ચે “સી” પ્લેન શરૂ કરવા આગામી સમયમાં નવા બિડિંગ ઓપન કરશે. આ સાથે ગુજરાતના બંદરોને પણ “સી” પ્લેન સાથે જોડવાની સરકારની વિચારણાઓ છે. (file photo)