1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગિરનાર પર્વતના જાહેર સ્થળોએ સફાઈને મુદ્દે તપાસ માટે હાઈકોર્ટએ કોર્ટ કમિશનની કરી નિમણૂંક
ગિરનાર પર્વતના જાહેર સ્થળોએ સફાઈને મુદ્દે તપાસ માટે હાઈકોર્ટએ કોર્ટ કમિશનની કરી નિમણૂંક

ગિરનાર પર્વતના જાહેર સ્થળોએ સફાઈને મુદ્દે તપાસ માટે હાઈકોર્ટએ કોર્ટ કમિશનની કરી નિમણૂંક

0
Social Share

અમદાવાદઃ જુનાગઢના ગરવા ગિરનાર પર્વત પરના જાહેર સ્થળોએ સર્જાતી ગંદકીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી, જેમાં હાઈકોર્ટના આદેશ બાદ કલેકટર, વન વિભાગ અને જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનએ સંયુકત સોગંદનામું કર્યું હતું. પ્રથમ સોગંદનામામાં ગિરનાર પર્વતના દર 100 પગથિયે સફાઈ કર્મચારી મુકવાની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. બાદમાં સફાઈ માટેની કામગીરી બે વર્ષમાં આઠ વાર જ કરવાની તૈયારી બતાવી હતી. આ પ્રથમદર્શી વિરોધાભાસ વચ્ચે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે ગિરનારની સફાઈ મુદ્દે કોર્ટ કમિશનની નિમણૂક કરી છે. હવે કોર્ટ કમિશન જાતે જ ગિરનારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરશે.

જુનાગઢના ગિરનારના પબ્લીક પ્લેસ પર જાહેરમાં પ્લાસ્ટિક સહિત કચરો પ્રવાસીઓ દ્વારા ફેંકાતો હોય છે. પરંતુ ગિરનારની સફાઈ મુદ્દે  સરકારના એકપણ વિભાગે જવાદારી સ્વીકારી સફાઈ કરાવી ન હતી. માત્ર એનજીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી ગિરનારને પ્લાસ્ટીક મુકત રાખવા પ્રયાસ થાય છે. આ ગંભીર મુદ્દે હાઈકોર્ટમાં વકિલ અમીત પંચાલ દ્વારા પીઆઈએલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે એક બાદ એક સુનાવણી દરમિયાન સરકારને ગિરનારની સફાઈ માટેનું આયોજન કરવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત સ્થાનિક તંત્રએ ગિરનારની સફાઈ માટેનો સુઝાવ આપ્યો હતો. જેમાં દર 100 પગથિયે એક સફાઈ કર્મચારી રાખવામાં આવે તો ગિરનારને પ્લાસ્ટીક મુકત રાખી શકાય તેમ હોવાનું સોગંદનામું કર્યું હતું. સફાઈની જવાબદારી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવામાં આવી હતી. તેણે સફાઈ માટેનો બે વર્ષનો કોન્ટ્રાકટ અપાશે. જેમાં ગિરનારની બે વર્ષમાં આઠ વાર સફાઈ કરવામાં આવશે એમ જણાવાયું હતુ. તેના માટે રૂા.40.82 લાખનો ખર્ચ થશે. આ સોગંદનામા બાદ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી બાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસની બેંચ દ્વારા ગિરનારની સફાઈ મુદ્દે કોર્ટ કમિશનની નિમણુંક કરવામાં આવી છે. કોર્ટ કમિશન તરીકે દેવાંગી સોલંકીની નિમણુંક કરવામાં આવી છે. કોર્ટ કમિશન આગામી સમયમાં રૂબરૂ જૂનાગઢ ગિરનાર પર્વતની મુલાકાતે લઈ ઈન્સ્પેકશન કરશે.

કોર્ટ કમિશનની મુલાકાત દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન અને કલેકટર કચેરીના અધિકારીઓને સાથે રાખવામાં આવશે. ત્યારબાદ  ગિરનારની સમગ્ર સ્થિતિ અંગેનો ચિતાર મેળવી તા.૮ નવેમ્બરે હાઈકોર્ટમાં કોર્ટ કમિશન દ્વારા રિપોર્ટ કરવામાં આવશે. પીઆઈએલ કરનાર વકિલને આ અંગેના કેસ કાગળો કોર્ટ કમિશનને આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટ કમિશનની સાથે પીઆઈએલ કરનારા અરજદાર વકીલ પણ ગિરનારની સફાઈ અંગે મુલાકાત કરી શકશે. હાલ તો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા કોન્ટ્રાકટ મુજબ કામગીરી કરવી કે કેમ ? તે અંગેનો હજુ સુધી કોઈ કોર્ટે નિર્ણય કર્યો નથી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code