
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર લોકોની આવક પર
દિલ્હી:રશિયા અને યુક્રેનની વચ્ચેના યુદ્ધને કારણે કરોડો લોકો ગરીબીમાં ધકેલાયા છે.ખાદ્ય વસ્તુઓથી માંડીને ઇંધણના વધેલા ભાવને કારણે વિશ્વના ૭.૧ કરોડ લોકો ગરીબ થઇ ગયા છે તેમ જારી થયેલા યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
યુએનડીપીના જણાવ્યા અનુસાર,યુદ્ધ ત્રણ મહિનામાં ૫.૧૬ કરોડ લોકો ગરીબ થઇ ગયા છે.આ લોકો દૈનિક ૧.૯૦ ડોલર કે તેનાથી પણ ઓછો ખર્ચ કરી રહ્યાં છે.જ્યારે બીજા ૨ કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા છે કે જેમનો દૈનિક ખર્ચ ૩.૨૦ ડોલર કે તેનાથી પણ ઓછો છે.
વિશ્વના ૫૦૦ કરોડ લોકો એટલે કે વિશ્વની ૭૦ ટકા વસ્તી ગરીબીમાં છે અથવા ગરીબી રેખાની નીચે જઇ શકે છે.ઓછી આવકવાળા દેશોમાં લોકો પોતાની આવકનો ૪૨ ટકા હિસ્સો ખાવા પાછળ ખર્ચ કરે છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધને પગલે પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો મૂક્યા તો સમગ્ર વિશ્વમાં તેલ, ઘંઉ, ખાંડ જેવી ખાદ્ય વસ્તુઓના ભાવ વધી ગયા છે. યુદ્ધને કારણે યુક્રેનના પોર્ટ બંધ થઇ જવાના કારણે યુક્રેન ઓછી આવકવાળા દેશોમાં અનાજની નિકાસ ન કરી શક્યું જેના કારણે આવા દેશોમાં અનાજના ભાવ વધી ગયા.
જેના કારણે લાખો લોકો ગરીબીમાં આવી ગયા. આ રિપોર્ટ મુજબ સૌથી અસરગ્રસ્ત દેશોમાં હતી, આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇરાક, તુર્કી, ફિલિપાઇન્સ, રવાન્ડા, સુદાન, કેન્યા, શ્રીલંકા અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન, ઇથોપિયા, માલી, નાઇજિરિયા અને યમનમાં અગાઉથી જ ગરીબી રેખાની નીચે જીવતા લોકોને વધુને અસર થઇ છે.