
ખાંભામાં નાના ધારી ગામે સિંહને મેટિંગ દરમિયાન ખલેલ પહોંચતા ઉશ્કેરાઈને શ્રમિક યુવાનને ફાડી ખાધો
અમરેલીઃ ચોમાસાની વરસાદી સીઝનમાં વનરાજો શિકારની શોધમાં રેવન્યું વિસ્તારમાં પણ આવી જતા હોય છે. હાલ આ ઋતુમાં સિંહ માટે મેટિંગનો સમય ગણાતો હોવાથી સિંહ કે સિંહણ કોઈપણ ખલેલ સહન કરતા નથી. આથી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ કરવામાં આવ્યા છે. દરમિયાન ખાંભાના નાની ધારી ગામમાં સિંહ અને સિંહણ ઘૂસી આવ્યાં હતા. અને મેટિંગ દરમિયાન અચાનક સિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ખેત મજૂર યુવાન ઉપર હુમલો કર્યો હતો. જેથી વનવિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે યુવાનના માત્ર પગ મળી આવ્યાં હતા. સિંહ અને સિંહણે યુવાનને ફાડી ખાધો હતો. જો કે, વનવિભાગની ટીમે મધરાતે સિંહને પાંજરે પુર્યો હતો. જોકે, સિંહણને પાંજરે પુરવાની તજવીજ હાલ ચાલી રહી છે.
અમરેલી જિલ્લામાં સિંહો સહિત વન્યપ્રાણીનો આતંક સતત વધી રહ્યો છે. જેને પગેલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોડી સાંજે ખાંભાના નાની ધારી ગામમાં મધ્યપ્રદેશના વતની ભાયદેશ બુલાભાઈ પયાર ખેત મજૂરી કરી રહ્યા હતા. ત્યારે ખેતીવાડી વિસ્તારમાંથી ઘરે પરત આવતા હતા તે દરમિયાન રસ્તા વચ્ચે સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા અને યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. ધારી ગીર પૂર્વના DCF રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સિંહને પાંજરે પુરી દીધો છે. જ્યારે સિંહણને પાંજરે પુરવા માટે રવિવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે માટે પાંજરા પણ ગોઠવી દીધા છે.
ફોરેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડમાં હતા ત્યારે આ ઘટના બની હતી. વનવિભાગે સિંહના કબજામાંથી યુવકની લાશને છોડાવવા ખુબ પ્રયાસ કર્યા હતા. તેમ છતાં સિંહ લાશને છોડવા તૈયાર ન હતો અને આક્રમણ થઈને શિકાર કરી રહ્યો હતો. વનવિભાગના હાથમાં યુવકના માત્ર બે પગ જ આવ્યાં હતા. એક કલાક સુધી સિંહ લાશ ઉપરથી ખસ્યો ન હતો. આ ઘટનાને પગલે ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલાની ટીમ તેમજ સ્થાનીક આર.એફ.ઓ સહિતના અધિકારીઓ દોડી આવ્યાં હતા. સિંહે હુમલો કરતા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં યુવાનના માત્ર પગ જ મળી આવ્યાં હતા. જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સિંહ અને સિંહણે આક્રમણ રીતે શિકાર કરી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. વનવિભાગ દ્વારા સિંહ અને સિંહણનું લોકેશન શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી. ત્યારે મધરાતે વનવિભાગનની ટીમે સિંહને પાંજરે પુર્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધારી ગીર પૂર્વના ડી.સી.એફ.રાજદીપ સિંહે આ ઘટનાની ખૂબ ગંભીરતા પૂર્વક નોંધ લીધી હતી અને વનવિભાગના કર્મચારીઓની રેસ્ક્યૂ ટીમ સાથે કલાકો સુધી ઓપરેશનમાં જોડાયા હતા. સિંહને પાંજરે પુરવામાં ડી.સી.એફ.ની ટીમને મહત્વ પૂર્ણ સફળતા મળી છે જેના કારણે અન્ય ઘટના બનતી અટકી ગઈ છે.