
અમદાવાદઃ આજે ચકલી ડે છે. પક્ષીઓમાં ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે. એટલે જ સેવાભાવી લોકો ચકલીઓને બચાવવા મફતમાં માળાઓનિં વિતરણ કરતા હોય છે. ઘણા લોકો બોક્સ કે પુંઠામાંથી ચકલીઓ માટે માળાં બનાવીને એનું વિતરણ કરતા હોય છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કાર્યરત લક્કી ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા માટે કોઈની પણ પાસે હાથ લાંબો કર્યા વગર અનોખી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દર વર્ષે મકરસંક્રિતએ પતંગ દોરાનો સ્ટોલ કરીને તેમાંથી થયેલા નફા ઉપરાંત પોતાના ખિસ્સામાંથી રૂપિયા નાખીને વિશ્વ ચકલી દિને 10 હજાર જેટલા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવે છે. આજે પણ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે મોરબીમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના સામાકાંઠે વિસ્તારમાં 10 થી 12 યુવાનોનું લક્કી ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી દાન લીધા વગર પોતાના ખિસ્સાના રૂપિયામાંથી ચકલીના માળા બનાવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષથી આ ચકલી બચાવો ઝુંબેશ લક્કી ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ મળીને પાંચેક લાખ જેટલા ચકલીના માળાનું આ ગ્રુપ દ્વારા વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ મળીને 10 હાજર કરતા પણ વધારે ચકલીના માળ અને 3 હજાર જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવા માટેનું આયોજન આ ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.
લક્કી ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે, આજથી દસેક વર્ષ પહેલા બધા મિત્રો બેઠા હતા ત્યારે કોઈ ન કરતુ હોય એવું કંઈક કરવાનું નક્કી કરી રહ્યા હતાં. ત્યારે દિન પ્રતિદિન લુપ્ત થતી ચકલીને બચાવવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ જુદી જુદી જગ્યાએથી નાનામોટી રોજગારી મેળવતા શ્રમજીવી યુવાનો દ્વારા કોઈની પાસેથી ફંડ ફાળો એકત્રિત કર્યા વગર જ ચકલીને બચાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેઓ મકરસંક્રાંતિ ઉપર પતંગ દોરાનો સ્ટોલ કરે છે જેમા લોકો તરફથી આ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે પુરેપુરો સહકાર આપવામાં આવે છે. આ ગ્રુપના યુવાનો દ્વારા કોઈની પાસે હાથ લાંબો કાર્ય વગર જાત મહેનત કરીને ચકલી બચાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને મોરબીના જે રીતે જાહેરમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબી આસપાસના ગામોમાં જઈને વિના મુલ્યે ચકલીના માળા લોકોના ઘરે ઘરે આ યુવાનો દ્વારા બાંધવામાં આવે છે. મોરબીમાં પર્યાવરણ અને પક્ષી પ્રેમી યુવાનોના આ ગ્રુપ દ્વારા આજે વિશ્વ ચકલી દિને મહારાણા પ્રતાપ સર્કલ પાસે રાહદારી લોકોને 5000 જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.