
પાલનપુરઃ જીવદયા માટેના કામોમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે. જિલ્લામાં અનેક ગૌ-શાળાઓ આવેલી છે. અને હજારો મુંગા પશુઓની સાર-સંભાલ કરવામાં આવે છે. બનાસકાંઠાના મુંબઈ સહિત મહાનગરોમાં વસવાટ કરતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ કાયમ માદરે વતનું ઋણ ચુકવવા માટે ગૌ શાળાઓને દાન આપતા હોય છે. ઉપરાંત સરકારની સહાય પણ મળતી હોવાથી ફસુઓની નિભાવણીનો ખર્ચ નિકળી જતો હોય છે. પરંતુ આ વખતે જિલ્લાની મોટાભાગની ગૌશાળાઓ સરકાર પાસે મદદ માગી રહી છે. ઘાસચારા સહિત અન્ય ખર્ચાઓમાં વધારો થતા પાંજરોપોળનો વહિવટ ચલાવવો હવે અઘરો પડી રહ્યો છે.
પાંજરાપોળના સંચાલકોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળામાં પશુઓની હાલત કફોડી બને તેવી સ્થિતિ સર્જાવાની શકયતાઓ છે. સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત તો કરી હતી, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કામગીરી ન કરાતા ગૌશાળાને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં રખડતા બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓની સાર સંભાળ થાય છે. આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી, પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે. તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે.
ગુજરાતમાં હાલ ઉનાળાની સિઝનમાં ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે. અત્યારે જિલ્લાની ગૌશાળાના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર જાહેરાત કરેલી સહાય ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ને તાત્કાલિક ચૂકવે તેવી સંચાલકો માંગ કરી રહ્યા છે. આ અંગે પાંજરાપોળના એક સંચાલકે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાની અંદર 170 કરતા વધુ ગૌ શાળા પાંજરાપોળ આવેલી છે. જેમાં 80 હજારથી વધુ ગૌ વંશ સહિતના પશુધન આશ્રીત છે. ઉનાળા કપરા સમયમાં ઘાસચારાની ભારે તંગી છે. દાનવીરોના દાનની પણ આવક ઘટી ગઈ છે. સરકારને અગાઉ રજૂઆત કરાતા 500 કરોડની બજેટમાં જોગવાઈ કરી છે. જે બજેટમાં પણ તે જાહેરાત કર્યાને આજે 70 દિવસ વધુ સમય થયો છે. સરકાર તરફથી હજુ સહાય નથી મળી નથી. સરકારીની મોટી મોટી જાહેરતો પછી દાન પણ નથી મળી રહ્યું. સરકારને વિનંતી કરીએ છીએ કે, તાત્કાલિક જે તમે જાહેરાત કરી છે તે પૈસા અમને ચૂકવી આપો. જો આવું કરવામાં વિલંબ થશે તો આવનારા સમયમાં ખુબ મોટી પરિસ્થિતિ વિકટ સર્જાશે.