
બાંગ્લાદેશમાંથી રોહિંગ્યાઓની ભારતમાં ઘુસણખોરીનો ઘટસ્ફોટ, યુપીમાંથી 74 રોહિંગ્યા ઝડપાયાં
- ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારમાં એટીએસની કાર્યવાહી
- મોટાભાગના રોહિંગ્યાઓ ઝુપડપટ્ટીમાં રહેતા હતા
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે વસવાટ કરતા રોહિંગ્યાઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન એટીએસની ટીમે વિવિધ વિસ્તારમાં છાપા મારીને લગભગ 74 જેટલા રોહિંગ્યાઓની અટકાયત કરી હતી. આ રોહિંગ્યાઓ બાંગ્લાદેશથી સરકાર ક્રોસ કરીને ભારતમાં ઘુસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાંગ્લાદેશથી સરકાર ક્રોસ કરીને રોહિંગ્યાઓ ગેરકાયદે રીતે ઘુસ્યા હોવાનું ખૂલતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ઉત્તરપ્રદેશ એટીએસની ટીમોએ સ્થાનિક પોલીસની મદદથી તપાસ હાથને રોહિંગ્યાઓની અટકાયત કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે રીતે રોહિંગ્યા વસવાટ કરી રહ્યાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે એટીએસ દ્વારા વિવિધ જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી હતી. એટીએસની ટીમોએ વિવિધ સ્થળો ઉપર છાપા મારીને મથુરામાંથી 31, અલીગઢમાંથી 17, ગાઝિયાબાદમાંથી 4, હાપુડમાંથી 13, મેરઠ અને સહારનપુરમાંથી 2-2 રોહિંગ્યાઓની અટકાયત કરી હતી. એટીએસની ટીમે લગભગ 74 રોહિંગ્યાઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે અટકાયત કરેલા રોહિંગ્યાઓમાં 16 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રોહિંગ્યાઓ ઝુપડપટ્ટીમાં પોતાની ઓળખ છુપાવીને ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા. પોલીસે રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા અન્ય રોહિંગ્યાઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ એટીએસની ટીમેએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઝડપેલા 74 જેટલા રોહિંગ્યાઓ કોઈ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. આ તમામ બાંગ્લાદેશથી સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યા હોવાની અને અહીં ઝૂંપડપટ્ટીમાં રહેતા હોવાની માહિતી મળી હતી.