રાજકોટઃ કોરોનાને લીધે વિમાની સેવાને પણ અસર થઈ છે. ખાનગી એરલાઈન્સ કંપનીઓએ મુસાફરો ન મળવાને કારણે અનેક ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ પણ આમાથી બાકાત નથી. કોરોના કહેરથી હવાઇ મુસાફરોની સંખ્યા ઘટતા એર લાઇન્સ કંપનીઓએ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજકોટ એરપોર્ટની હવાઇ સેવામાં સ્પાઇસ જેટ અને ઇન્ડિગો કંપનીએ આગામી તા.31મીમે સુધી તમામ ફલાઇટ રદ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જયારે એર ઇન્ડિયાએ સપ્તાહમાં ચાર દિવસ રાજકોટ-મુંબઇ અને રાજકોટ-દિલ્હી ફલાઇટનું ઉડ્ડયન યથાવત રાખ્યુ છે.
રાજકોટ એરપોર્ટ કોરોનાની લહેર સુમસામ બન્યુ છે. એર ઇન્ડિયાએ સપ્તાહમાં ચાર દિવસ ફલાઇટ ઉડાડવાનો નિર્ણય લીધો છે. જેમાં સોમ, મંગળ, બુધ અને શનિવારે રાજકોટ-મુંબઇ અને રાજકોટ દિલ્હી ફલાઇટ સેવા શરૂ રહેશે. ગત માર્ચ માસના અંતિમ દિવસોમાં ઇન્ડિગો કંપનીની સેવા શરૂ થતા રાજકોટ એરપોર્ટમાં સ્પાઇસ જેટ, એર ઇન્ડિયા, ઇન્ડિગો કંપનીની મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ બેંગ્લોર જેવા મેટ્રો શહેરની જોડતી હવાઇ સેવામાં મુસાફરોના જબરો ટ્રાફિક રહેતા રાજકોટ એરપોર્ટ ડેઇલી 10-12 જેટલી ફલાઇટની આવાગમનથી ધમધમી ઉઠયુ હતું. પરંતુ એપ્રિલના પ્રથમ સપ્તાહ બાદ કોરોના સંક્રમણ વધતા દરેક હવાઇ મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત થતા મુસાફરોની સંખ્યા-ધીમે ધીમે ઘટવા લાગી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં મુસાફરો નહી મળતા ત્રણેય એર લાઇન્સમાં કંપનીની ફલાઇટ ધડાધડ કેન્સલ થવા લાગી હતી. આખરે સ્પાઇસ જેટ અને ઇન્ડિગો કંપનીએ તમામ ફલાઇટ આગામી તા.31મીએ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જયારે એર ઇન્ડિયાએ મુંબઇ સેવા તા.30મી મે અને દિલ્હી સેવા તા.14મી મે સુધી સપ્તાહમાં સોમ, મંગળ, બુધ, ગુરૂ, શનિવારે શરૂ રાખવા નિર્ણય લીધો છે.