
અમદાવાદઃ શહેરમાં ઉત્તર ભારતની બહેનો દ્વારા દરવર્ષે છઠની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે છઠ પૂજા હોવાથી પૂજા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના એરપોર્ટ પાસે ઈન્દિરા બ્રિજના ઘાટ પાસે દર વર્ષે ઉત્તર ભારતની બહેનો છઠ પૂજા કરતી હોય છે. જો.કે ગત વર્ષે કોરોનાના કારણે આ પૂજાનું આયોજન થઈ શક્યું નહોતું. આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં તહેવારોની ઉજવણીની મંજુરી આપવામાં આવી છે. તેવી જ રીતે 400 લોકોની મર્યાદામાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ છઠ્ઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ મંત્રી સોનાસિંહ રાજપૂતે છઠ પુજા કાર્યક્રમના અયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે બુધવારે સાંજે છઠ પૂજાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રદીપ પરમાર પણ હાજર રહેવાના છે. અમદાવાદમાં અંદાજે 12 લાખ જેટલા ઉત્તર ભારતીયો રહે છે. જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડના લોકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના મૂળ ઉત્તર ભારતના IAS અને IPS અધિકારીઓ પણ પૂજાના કાર્યક્રમમાં જોડાશે. આ દિવસે ઉત્તર ભારતીય સમાજના લોકો ડૂબતા સૂરજની પૂજા કરે છે. જોકે આ વખતે ઇન્દિરા બ્રિજના વિસ્તારમાં પાણી ન હોવાથી ઘાટમાં જ બોરનું પાણી છોડવામાં આવ્યું છે. જેમાં પૂજા કરવામાં આવશે. છઠ મહાપર્વના દિવસે થેકુઆ, માલપુઆ, ખીર, સોજીની ખીર, ચોખાના લાડુ, ખજૂરનો થાળ શુભ માનવામાં આવે છે. કુલ 4 દિવસ સુધી આ મહાપર્વની ઊજવણી કરવામાં આવે છે. જેમાં વ્રત કરનાર સ્ત્રીઓ ઉપવાસ કરે છે અને છઠ્ઠી મૈયાની પૂજા કરે છે. ત્રીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. જ્યારે ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે.
ઈન્દિરા બ્રિજના ઘાટ પર 30થી 40 હજાર લોકો ભેગા થાય છે પરંતુ આ વર્ષે કોરોના ગાઈડ લાઈન મુજબ સરકાર તરફથી ફક્ત 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. છઠ ઉત્સવ આયોજન સમિતિ હાલ છઠ ઘાટ પર આવવા માંગતા લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. છઠ કુંડમાં ઉપવાસી મહિલાઓ ઊભી રહી શકે તે માટે મંગળવારથી ચોખ્ખુ પાણી ભરવામાં આવશે. 1450 ક્યુબિક મીટરનો છઠ પૂજા માટેનો કુંડ છે જેમાં 14.50 લાખ લિટર પાણી ભરાશે.