
- ઓમકારેશ્વર ડેમમાંથી સતત છોડાતા પાણીને લીધે નર્મદા ડેમની જળસપાટી વધી,
- નર્મદા નદીમાં 4.13 લાખ ક્યુસેક પાણી છોડાયું,
- સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
ગાંધીનગરઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે નર્મદા નદી પરના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમની જળસપાટીમાં વધારો થતાં બન્ને જળાશયોમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, તળ વિદ્યુત મથક (R.B.P.H)નાં 6 મશીનો અને સરદાર સરોવર બંધના 23 દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 4 લાખ 13 હજાર 947 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના લીધે નર્મદા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભારે વરસાદને કારણે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આહલાદક ડ્રોન નજારો જોવા મળી રહ્યો છે. અતિ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદી માહોલમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘમહેર થઈ છે, ત્યારે એકતા નગર હીલ સ્ટેશનમાં ફેરવાયું હોય તેવો માહોલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને તેની આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દરમિયાન વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય માર્ગ વહેલી સવારથી જ બંધ કરવામાં આવ્યો છે. રોડ ઉપર દેવડેમના પાણી વહેતા થતા વાહન વ્યવહાર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો.
નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે.
નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ 3 લાખ 22 હજાર 996 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી નદી તળ વિદ્યુત મથક (R.B.P.H)નાં 6 મશીનો અને સરદાર સરોવર બંધના 23 દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 4 લાખ 13 હજાર 947 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇન્ફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટ ફ્લો વધારવામાં આવ્યો છે.