
નામિબિયા સામે જીત સાથે ટી-20માં કોહલીની કેપ્ટનશીપનો અંત, શાસ્ત્રીની જગ્યા પણ રાહુલ દ્રવિડ લેશે
મુંબઈ: ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ ભલે હજૂ પણ ચાલી રહ્યો હોય, પણ ભારતના નબળા પર્ફોર્મન્સના કારણે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ છે. નામિબિયા સામે ભારતીય ક્રિકટ ટીમની છેલ્લી જીતની સાથે કોહલીની પણ કેપ્ટનશીપનો અંત આવ્યો છે અને સાથે કોચ રવિ શાસ્ત્રીની જવાબદારીનો પણ અંત આવ્યો છે.
રવિશાસ્ત્રીની જગ્યાએ હવે ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ કોચની જવાબદારી સંભાળશે અને ટી-20માં આગામી કેપ્ટન તરીકે રોહિત શર્મા જવાબદારી સંભાળી શકે છે. ભારતે ટી-20 વર્લ્ડ કપ 2021ની છેલ્લી મેચમાં નામિબિયાને નવ વિકેટે હરાવ્યું હતુ. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં નામિબિયાએ આઠ વિકેટે 132 રન કર્યા હતા. જવાબમાં ભારતે માત્ર 28 બોલ બાકી હતા ત્યારે 136 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રોહિત શર્માએ 56 અને કેએલ રાહુલે અણનમ 54 રન ફટકાર્યા હતા.
ટી20 વર્લ્ડ કપના કેપ્ટન તરીકેની નામ્બિયા સામેની છેલ્લી મેચ પહેલા કોહલીએ જણાવ્યું કે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી મારે માટે ગૌરવની વાત રહી છે. કોહલીએ કહ્યું કે મને જે જવાબદારી સોંપાઈ, મેં તેને પાર પાડવાનું કામ કર્યું અને આ મારે માટે ગૌરવનું કામ રહ્યું છે. હવે હું બીજાને સ્થાન આપું તે સમય આવ્યો છે. ટીમ ઈન્ડીયાએ જેવી રીતે કામ કર્યું તેની પર મને ખૂબ માન છે.
ઉલ્લેખનીય છે કે નામિબીયા તરફથી ડેવિડ વીઝે સૌથી વધારે 26 રન બનાવ્યાં હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વીન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી.