મોહમ્મદ શમીએ 2027ના ODI વર્લ્ડકપ સુધી રમવાની ઈચ્છા વ્યક્ત કરી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો રવિચંદ્રન અશ્વિન અને ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ પછી, ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ આ બોલરે આ અફવાઓને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે, તેનો હાલમાં નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પછી એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા મોહમ્મદ શમીએ કહ્યું કે, તે ત્યાં સુધી રમવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તેનું મનોબળ ન ઘટે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું કે, “જો કોઈને કોઈ સમસ્યા હોય તો મને કહો, શું હું નિવૃત્તિ લઈશ તો તેમનું જીવન સારું થઈ જશે? મને કહો, હું કોના જીવનમાં પથ્થર બની ગયો છું કે તમે મને નિવૃત્તિ લેવડાવવા માંગો છો? જે દિવસે હું કંટાળી જઈશ, હું મારી જાતે છોડી દઈશ”. ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટ બોલરે આગળ કહ્યું, “તમે મને પસંદ ન કરી શકો, પરંતુ હું સખત મહેનત કરતો રહીશ. જો તમે મને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પસંદ નહીં કરો, તો હું ઘરેલુ ક્રિકેટ રમીશ. હું ક્યાંક રમતો રહીશ”. ૩૪ વર્ષીય ખેલાડીએ કહ્યું કે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.
મોહમ્મદ શમીએ કહ્યું કે ODI વર્લ્ડ કપ જીતવાનું મારું સ્વપ્ન હજુ અધૂરું છે. ૨૦૨૩માં અમે ખૂબ નજીક આવી ગયા હતા, પરંતુ અમે જીતી શક્યા નહીં. હું ૨૦૨૭માં ત્યાં પહોંચવા માંગુ છું. પોતાની ફિટનેસ અંગે મોહમ્મદ શમીએ કહ્યું કે મેં છેલ્લા બે મહિનામાં ખૂબ જ મહેનત કરી છે. ખાસ કરીને વજન ઘટાડવા અને લાંબા સમયથી બોલિંગ પર.


