31 ડિસેમ્બર સુધીમાં આધાર લિંક નહીં કરો તો પાનકાર્ડ થઈ જશે ડેડ
Aadhar card-PAN card link જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ ને આધાર સાથે લિંક નથી કર્યું, તો તાત્કાલિક કરાવી લેજો. આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. જો નિયત સમયસીમામાં લિંકિંગ નહીં થાય, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે, જેના કારણે બેન્કિંગથી લઈને ટેક્સ સુધીના અનેક કામો અટકી જશે.
આવકવેરા વિભાગના 3 એપ્રિલ 2025ના નોટિફિકેશન મુજબ: જે લોકોને 1 ઓક્ટોબર 2024 પછી પાન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું છે, તેમણે 31 ડિસેમ્બર 2025 સુધીમાં લિંક કરાવવું ફરજિયાત છે. અન્ય તમામ પાન ધારકો માટે છેલ્લી તારીખ 31 મે 2024 નક્કી કરવામાં આવી હતી. જોકે, હજુ પણ રૂ. 1,000 નો દંડ ભરીને 31 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
- જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, તો આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે
ટેક્સ રિફંડ અટકી જશે: તમે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ નહીં કરી શકો અને આવનાર રિફંડના નાણાં પણ અટકી જશે.
વધુ TDS કપાશે: લિંકિંગ વગર TDS અને TCS ના દરો સામાન્ય કરતા વધી જશે. સાથે જ Form 26AS કે ટીડીએસ સર્ટિફિકેટ પણ મળી શકશે નહીં.
બેન્કિંગ સેવાઓમાં અવરોધ: નવું બેંક ખાતું ખોલાવવા, ATM કે ડેબિટ કાર્ડ મેળવવા અને રૂ. 50,000 થી વધુની રોકડ જમા કરાવવામાં મુશ્કેલી આવશે.
રોકાણ પર રોક: મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં ટ્રેડિંગ અને રોકાણ પર પ્રતિબંધ આવી શકે છે.
- સરકારી સેવાઓ અને KYC માં મુશ્કેલી
નિષ્ક્રિય પાન કાર્ડને કારણે તમારી KYC પ્રક્રિયા અધૂરી રહેશે, જેના કારણે અનેક સરકારી યોજનાઓનો લાભ લેવામાં અવરોધ આવશે. રૂ. 10,000 થી વધુના બેંક ટ્રાન્ઝેક્શન કરવામાં પણ સમસ્યા નડી શકે છે.
આવકવેરા વિભાગે તમામ કરદાતાઓને અનુરોધ કર્યો છે કે કોઈપણ પ્રકારની નાણાકીય કે કાનૂની મુશ્કેલીથી બચવા માટે વહેલી તકે પાન-આધાર લિંક કરાવી લે. અંતિમ દિવસોમાં સર્વર પર લોડ વધવાને કારણે તકલીફ થઈ શકે છે, તેથી સમય પહેલા આ કામ પતાવી લેવું હિતાવહ છે.
આ પણ વાંચોઃ સરકારનો મોટો નિર્ણય, બે નવી એરલાઇન્સને મળી મંજૂરી


