સુખી અને સંપન્ન લોકોએ હવે સ્વેચ્છાએ અનામતમાંથી બહાર નીકળી જવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 22 મે 2026: દેશમાં અનામત અને સામાજિક ગતિશીલતાના મુદ્દે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ટિપ્પણી કરી છે. પછાત વર્ગોમાં ‘ક્રીમી લેયર’ ને મળતા અનામતના લાભો સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સવાલ ઉઠાવ્યો છે કે, જે પરિવારોએ શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી લીધી છે, શું તેમના બાળકોને પણ અનામતનો લાભ મળવો જોઈએ? જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠ આ મામલાની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ આકરા સવાલો કરતા પૂછ્યું હતું કે, જો માતા-પિતા બંને આઈએએસ અધિકારી હોય, તો પછી તેમની આગામી પેઢીને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ?
સુનાવણી દરમિયાન અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ અધિવક્તા શશાંક રતનુએ દલીલ કરી હતી કે, લોકોને તેમના પગારના કારણે નહીં, પરંતુ તેમના સામાજિક દરજ્જાના આધારે અનામતમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે હાલમાં ગ્રુપ-એના કર્મચારીઓને બહાર રાખવામાં આવ્યા છે અને ગ્રુપ-બીના કર્મચારીઓને પણ બાકાત રાખવામાં આવે છે. આ દલીલ સામે જસ્ટિસ નાગરત્નાએ સ્પષ્ટ કર્યું હતું કે, શિક્ષણ અને આર્થિક સશક્તિકરણની સાથે સમાજમાં આપોઆપ સામાજિક ગતિશીલતા આવે છે. આવી સ્થિતિમાં જો આગામી પેઢી પણ સતત અનામતની માંગ કરતી રહેશે, તો દેશ અને સમાજ ક્યારેય આ વ્યવસ્થામાંથી બહાર નહીં આવી શકે. તેમણે આ બાબતને દેશ માટે એક અત્યંત ચિંતાજનક વિષય ગણાવ્યો હતો.
જસ્ટિસ નાગરત્નાએ વધુમાં ઉમેર્યું હતું કે, જે વિદ્યાર્થીઓના માતા-પિતા સારી નોકરીઓમાં છે અને મબલખ આવક મેળવી રહ્યા છે, તે વિદ્યાર્થીઓ હજુ પણ અનામતનો લાભ મેળવવા ઈચ્છે છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આવા સુખી અને સંપન્ન લોકોએ હવે સ્વેચ્છાએ અનામતમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ તબક્કે એડવોકેટ રતનુએ કોર્ટને જણાવ્યું હતું કે આ ગંભીર મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે અને આર્થિક રીતે નબળા વર્ગ તેમજ ક્રીમી લેયરના માપદંડો વચ્ચે તફાવત હોવો જોઈએ. જેના જવાબમાં જસ્ટિસ નાગરત્નાએ તાર્કિક મુદ્દો રજૂ કર્યો કે, EWS કેટેગરીમાં કોઈ સામાજિક પછાતપણું હોતું નથી, તેમાં માત્ર આર્થિક પછાતપણું જ મુખ્ય આધાર હોય છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે આ જ કારણસર ક્રીમી લેયરના માપદંડો EWS કરતા વધુ ઉદાર હોવા જોઈએ, અન્યથા બંને વચ્ચેનો તફાવત સમાપ્ત થઈ જશે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સત્તાવાર નોટિસ જારી કરી છે. જસ્ટિસ નાગરત્નાએ અંતમાં જણાવ્યું હતું કે આ સંવેદનશીલ મુદ્દા પર યોગ્ય સંતુલન જાળવવું અત્યંત અનિવાર્ય છે. સામાજિક અને શૈક્ષણિક પછાતપણું પોતાની જગ્યાએ યોગ્ય હોઈ શકે છે, પરંતુ જ્યારે કોઈ પરિવાર અનામતનો લાભ લઈને એક ચોક્કસ ઉચ્ચ સ્તર સુધી પહોંચી ચૂક્યો હોય અને માતા-પિતા સરકારી સેવામાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હોય, ત્યારે સામાજિક પરિવર્તન સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અદાલતે એમ પણ કહ્યું કે, સરકાર દ્વારા આવા સંપન્ન લોકોને અનામતથી દૂર રાખવા માટેના જે આદેશો છે, તેને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે.


