CBIના રૂ. 119 કરોડથી વધુના બે બેંક ફ્રોડ કેસમાં 7 સ્થળોએ દરોડા
નવી દિલ્હી, 22 મે 2026: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ મેસર્સ શ્રી હરિ એક્સ્ટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ જય ફોર્મ્યુલેશન્સ લિમિટેડ સામે નોંધાયેલા બે અલગ-અલગ કેસોના સંબંધમાં 21.05.2026 ના રોજ 7 પરિસરોમાં તપાસ હાથ ધરી છે. આ પરિસરો બે શહેરો, મુંબઈ અને અમદાવાદમાં ફેલાયેલા છે. મેસર્સ શ્રી હરિ એક્સ્ટ્રુઝન કેસમાં, મુંબઈના સીબીઆઈ કેસો માટેના માનનીય સ્પેશિયલ જજ દ્વારા જારી કરાયેલા સર્ચ વોરંટના આધારે આ કંપનીઓના ડિરેક્ટરોના રહેણાંક પરિસરોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચના પરિણામે વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.
આ કેસ બેંકમાંથી મેળવેલી કેશ ક્રેડિટ અને ટર્મ લોનની સુવિધાઓ સંબંધિત બાબતમાં પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 61.98 કરોડની છેતરપિંડીનો છે. ત્યારબાદ લોન લેનારાઓએ છેતરપિંડીપૂર્ણ પદ્ધતિઓ અપનાવી હતી અને લોનની રકમનો દુરુપયોગ કર્યો હતો, જેમાં બિનસુરક્ષિત લોન આપવી, સિસ્ટર કન્સર્ન (સંબંધિત કંપનીઓ) સાથે વ્યવહારો કરવો, ધિરાણકર્તા બેંક સાથે વેચાણને રૂટ ન કરવું, સંબંધિત પક્ષોને ચુકવણીઓ કરવી વગેરેનો સમાવેશ થાય છે.
મેસર્સ જય ફોર્મ્યુલેશન્સ લિમિટેડમાં, અમદાવાદની માનનીય અદાલત દ્વારા જારી કરાયેલા સર્ચ વોરંટના આધારે આ કંપનીઓના ડિરેક્ટરોના રહેણાંક પરિસરોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસ ખોટા હિસાબી ચોપડાઓના આધારે ફંડ આધારિત તેમજ બિન-ફંડ આધારિત ક્રેડિટ સુવિધાઓ સંબંધિત બાબતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 57.05 કરોડની છેતરપિંડી કરવા અને ત્યારબાદ લોનના ભંડોળને ડાયવર્ટ (અન્યત્ર વાળી) કરવાનો છે. આ બે કેસોમાં જાહેર ક્ષેત્રની બેંકોને થયેલું કુલ ગેરકાયદેસર નુકસાન રૂ. 119.03 કરોડ છે.


