
અમદાવાદઃ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાના 10 સ્વચ્છતા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સ્વચ્છતા સૈનિકોને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર રાષ્ટ્રના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગામડાઓમાં સ્વચ્છતા સૈનિકો સ્વચ્છતા રાખવા સંબંધી તમામ કામ ઝીણવટતાથી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘‘સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત’’ના સ્વપ્નને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. ગાંધીજીના સ્વચ્છ, સુઘડ, સ્વાવલંબી અને સમૃદ્ધ ગામડાઓ દ્વારા સમૃદ્ધ અને વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-2014માં સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું હતુ. આ મિશનને ગુજરાત સરકાર આગળ ધપાવી રહી છે.
મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ઉમેર્યું કે, સ્વચ્છ રાષ્ટ્રની શરૂઆત સ્વચ્છ આંગણાથી જ થાય છે. આ ભગીરથ અભિયાનને સાકાર કરવા રાજ્ય સરકાર રાજ્યોના નાગરિકોને માર્ગદર્શન અને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડે છે. જેના ભાગરૂપે ગામડાઓમાં સ્વચ્છતા રાખવા હેતુ રાજ્યની પંચાયતોને આગામી સમયમાં પાવડાવાળા ટ્રેકટર આપવાનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું કે, મહાત્મા ગાંધીજીના સ્વપ્ન ‘સ્વચ્છ ભારત’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકાર આપી સાકાર કર્યું છે. રાષ્ટ્રની રક્ષામાં સરહદ પરના સૈનિકોનું જેટલું યોગદાન છે એટલું જ રાષ્ટ્રની સ્વચ્છતામાં સ્વચ્છતા સૈનિકોનું યોગદાન છે. મંત્રી મેરજાએ ઉમેર્યું કે, સરહદી સૈનિક સ્વંય શિસ્તથી બંધાયેલો હોય છે તેમ સ્વચ્છતા સૈનિક પણ સ્વેચ્છાએ સ્વિકારેલી જવાબદારી નિભાવે છે. સ્વચ્છતાની દિશામાં ગુજરાતે અનેક નવતર પહેલો કરી છે જેને અન્ય રાજ્યોમાં પણ અમલી બનાવવામાં આવી છે.
ગ્રામવિકાસ વિભાગના અગ્ર સચિવ સોનલ મિશ્રાએ કહ્યું કે, સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત સ્વચ્છતા બાબતે નોંધનીય તેમજ સરાહનીય કામગીરી કરવા બદલ સ્વચ્છતા સૈનિકોને સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. સ્વચ્છતા સૈનિકો ઘન-પ્રવાહી કચરાને અલગ તારવવો, પ્લાસ્ટિક, માનવ મળ અને ગોબર નિકાલના યોગ્ય વ્યવસ્થાપન માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.