ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષકો સામે પગાર અને ઈજાફા અટકાવવા સુધીનાં પગલાં લેવાશે
- તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયો પરિપત્ર
- ગેરરીતિ બદલ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેવાશે
અમદાવાદ: રાજ્યના શિક્ષણ વિભાગે હવે ખોટા CCC (Course on Computer Concepts) સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચ પગાર ધોરણ અને અન્ય આર્થિક લાભ મેળવનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક અત્યંત મહત્ત્વપૂર્ણ પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે, જેમાં ગેરરીતિ આચરનારા શિક્ષકો સામે સખત પગલાં લેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કડકમાં કડક ખાતાકીય પગલાં ભરવામાં આવશે, જેમાં તેમના ઉચ્ચ પગાર ધોરણ અને વાર્ષિક ઈજાફા અટકાવવા સુધીના પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગેરરીતિ બદલ જવાબદાર શિક્ષકો સામે અન્ય શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી શકે છે.
શિક્ષણ વિભાગે તમામ શિક્ષકો દ્વારા રજૂ કરાયેલા CCC સર્ટિફિકેટની તાત્કાલિક ખરાઈ કરવા અને ગેરરીતિ સામે ખાતાકીય તપાસ હાથ ધરવાની સૂચના આપી છે. ખાસ કરીને, જે શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે અને ખોટા સર્ટિફિકેટના આધારે પગાર કે અન્ય નાણાકીય લાભ મેળવ્યા છે, તેમના કિસ્સામાં પણ સરકારી તિજોરીને થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે રીકવરી કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. આ પરિપત્રના પગલે હવે તમામ શિક્ષણાધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવા શિક્ષકોની ઓળખ કરીને તેમની સામે તાત્કાલિક કાનૂની અને ખાતાકીય પગલાં લેવા માટે બંધાયેલા છે. આ પગલાથી શિક્ષણ જગતમાં હલચલ મચી જવા પામી છે.


