
માંડલના મોતિયાની સર્જરીમાં દર્દીઓને અંધાપાને લીધે HCની સુઓમોટો બાદ સરકારે તપાસ કમિટી બનાવી
અમદાવાદઃ જિલ્લાના માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિક રામાનંદ હોસ્પિટલમાં ગત તા. 10મી જાન્યુઆરીએ મોતિયાના ઓપરેશન બાદ કેટલાક દર્દીઓની આંખની રોશની જતી રહેતા પાંચ દર્દીઓને અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી આંખની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ ગુજરાત હાઇકોર્ટએ સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. જજ એ.એસ. સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચે મીડિયાના અહેવાલને આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. અને 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. દરમિયાન રાજ્ય સરકારે પણ આ બનાવમાં આકરૂ વલણ અપનાવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ સિવિલના કેમ્પસમાં આવેલી આંખની હોસ્પિટલ દોડી ગયા હતા. અને માંડલના અંધાપાકાંડનો ભોગ બનેલા દર્દીઓની ખબર-અંતર પૂછી હતી. દરમિયાન સરકારે માંડલના અંધાપાકાંડની તપાસ માટે નિષ્ણાત પાંચ તબિબોની કમિટી નીમી છે.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આકરૂં વલણ અપનાવ્યું છે. તેમણે આજે અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી એમ.એન્ડ.જે . હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરીને સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી.
આ ઘટનાને પગલે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, માંડલમાં બનેલી આ ઘટનાની સચોટ , નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે નવ નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. કમિટીના રીપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડકમાં કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરાશે.
માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલી ઘટનાની ગંભીરતાને પારખીને મંત્રી ઋષિકેશ પટેલે મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના આપી છે. મોતીયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં જરુરી ચેક-લિસ્ટ માટેની ગાઇડ લાઇન બનાવવા પણ તેમણે આદેશ કર્યાં છે. હાલ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંઘ કરવા કડક સૂચના અપાઇ છે.
માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. જજ એ.એસ. સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચ મીડિયાના અહેવાલને આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.