
માફિયા અતિક અને તેના ભાઈની હત્યા બાદ કેન્દ્ર સરકાર પત્રકારોની સુરક્ષા માટે તૈયાર કરશે SOP
- પત્રકારની સુરક્ષાને લઈને કેન્દ્ર એક્શનમાં
- ગૃહમંત્રાલયે એસઓપી કરી તૈયાર
દિલ્હીઃ- વિતેલી દિવસની રાતે માફિયા અતિક એહમદ અને તેના ભાઈની પોલીસની હાજરીમાં ફિલ્મી ઢબે હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો આ સાથે જ તમામ મંત્રીઓના આવાસની બહાર સુરક્ષા વધારવામાં આવી ત્યારે હવે કેન્દ્રની સરકારે દેશના પત્રકારોને લઈને પણ સુરક્ષા માટે મોટુ પગલુ ભર્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પત્રકારોની સુરક્ષાને લઈને ગૃહમંત્રાલયે મોટું પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP બનાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે અતીક અને અશરફની હત્યા કરનારા હુમલાખોરો પત્રકારનો વેશ ધારણ કરીને મીડિયાકર્મીઓની વચ્ચે ઘૂસી ગયા હતા અને તક મળતાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. SOP હેઠળ, મીડિયા કવરેજ દરમિયાન, પત્રકારોને સરકાર તરફથી વ્યાપક સુરક્ષા મળી શકે છે અને કેટલાક સુરક્ષા માપદંડો હશે જેનું પાલન કરવું પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય પત્રકારોની સુરક્ષા માટે SOP તૈયાર કરશે.ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ માટે હશે.
ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં પત્રકાર તરીકે દેખાતા ત્રણ હુમલાખોરો દ્વારા અતીક અને તેના ભાઈ અશરફની હત્યા કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અહેમદ અને અશરફ શનિવારે રાત્રે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.