
રાજકોટઃ અયોધ્યામાં આવતી કાલ તા, 22મીને સોમવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લીધે લઈ રાજકોટ શહેરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવ્ય અવસરને વધાવવા ઠેર-ઠેર વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. શહેરમાં મુખ્ય બજારોમાં વેપારીઓએ રંગબેરંગી લાઈટ્સની રોશની કરી છે. શહેરના સંતકબીર રોડની 1100 દુકાનો પર રોશની કરવામાં આવી છે. કાલે સોમવારે સૌથી મોટી રંગોળી તેમજ પ્રસાદ વિતરણ સહિત વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યુ છે.
રાજકોટ શહેરમાં અનેકવિધ સંસ્થાઓ દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના પોશ વિસ્તાર એવા સંત કબીર રોડ ઉપર આવેલા ઇમિટેશન વેપારીઓએ પોતાની દુકાનોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શહેરની શેરીઓમાં પણ રામલલ્લાને આવકારવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. સંત કબીર રોડ પર આવેલી 1100થી વધુ દુકાનો રોશનીથી શણગારીને રામ ભગવાનની વિશાળ પ્રતિકૃતિ પણ ગોઠવવામાં આવી છે. કાલે તા. 22ને સોમવારે સૌથી મોટી રંગોળી બનાવવાનું તેમજ રાત્રે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના ઇમિટેશન એસોસિએશનનાં જણાવ્યા મુજબ અયોધ્યામાં યોજાનારા ભગવાન રામનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1100-1200 જેટલા વેપારીઓ દ્વારા પોતાની દુકાનો સહિત સમગ્ર વિસ્તારને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ અયોધ્યાની પ્રતિકૃતિ સમાન 2100 ફૂટની સૌથી મોટી રંગોળી બનાવવામાં આવશે. આ રંગોળીમાં ભવ્ય રામ દરબાર બનશે. તેમજ સાઈડમાં 75 રંગોળી કલાકારો દ્વારા બનાવવામાં આવશે. આ ઉપરાંત મહા પ્રસાદ અને સુંદરકાંડનાં પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અયોધ્યામાં યોજાનાર ભગવાન રામનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટ રામમય બન્યું છે. સમગ્ર શહેરમાં ઠેર-ઠેર કેસરીયો લહેરાવવામાં આવ્યો છે. જ્યારે નાનામૌવા રોડ પર આવેલા સૌથી મોટી બિલ્ડીંગ સિલ્વર હાઇટ્સ ખાતે ભગવાન રામનું અંદાજે 250 ફૂટનું કટઆઉટ મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત વિરાણી ગ્રાઉન્ડમાં મીની અયોધ્યા ઉભું કરાયું છે. તેમજ રેસકોર્સ ગ્રાઉન્ડમાં સાંસદ મોકરિયા દ્વારા ભાગવત કે રામ કથા યોજવામાં આવી છે. જે સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.