હવે ઉગ્રવાદ નહીં પરંતુ વિકાસ-આત્મવિશ્વાસની ઓળખ છે બસ્તરઃ મોદી
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: છત્તીસગઢના બસ્તરની ઓળખ હવે ધીમે-ધીમે બદલાઈ રહી છે. લાંબા સમયથી આ વિસ્તારને માઓવાદ, હિંસા અને પછાત તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે આ જ વિસ્તાર હવે પોતાની સમૃદ્ધ જનજાતિય સંસ્કૃતિ, પરંપરા અને આત્મવિશ્વાસ માટે સમગ્ર દેશમાં ઓળખાય છે. આ પરિવર્તનનું સૌથી મોટુ ઉદાહરણ છે બસ્તર પંડુમ, જેનું આયોજન ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું છે કે, છત્તીસગઢમાં બસ્તર પંડુમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ દરમિયાન બસ્તરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને જનજાતિય વિરાસતનું ભવ્ય રૂપ જોવા મળ્યું. આવા આયોજન આપણી સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત કરવા અને સ્થાનિય સમુદાયોને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા બસ્તરનું નામ લેવાતુ ત્યારે માઓવાદ, હિંસા અને વિકાસથી પછાત વિસ્તારનુ ચિત્ર સામે આવતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. આજે બસ્તર વિકાસની સાથે સાથે સ્થાનિક લોકોના વધતા આત્મવિશ્વાસ માટે ઓળખાય છે. મારી પ્રાર્થના છે કે, અહીં આવનારા સમયમાં શાંતિ, પ્રગતિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના પરિપૂર્ણ થાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બસ્તર પંડુમમાં સામેલ થયા હતા અને તેમણે આને બસ્તર માટે એક ઐતિહાસિક બદલાવનું પ્રતિક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વામપંથી ઉગ્રવાદીઓના ભય અને હિંસાથી બહાર નીકળીને બસ્તર પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આગળ વધારી રહ્યું છે અને વિકસિત ભારતનું બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યું છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, 15મી ફેબ્રુઆરીએ ભારત સામે રમશે ટી20 મેચ


