
- LPG સમિતિનું સબસિડી-ઇમ્પોર્ટ ડ્યુટીને લઇને સૂચન
- સરકાર હસ્તકની કંપનીઓ અને ખાનગી કંપનીઓ માટે આ દરો એકસમાન કરવા કર્યું સૂચન
- સમિતિએ LPG માર્કેટિંગના વર્તમાન માળખા પર પોતાનો રિપોર્ટ આપ્યો છે
નવી દિલ્હી: હાલમાં સરકાર હસ્તકની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ અને ખાનગી કંપનીઓ વચ્ચે સબસિડી અને આયાતના અલગ અલગ દરો જોવા મળી રહ્યા છે ત્યારે તેને એકસમાન કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા રચાયેલી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના માર્કેટિંગ અંગેની સમિતિએ સૂચન કર્યું છે. સમિતિએ LPG માર્કેટિંગના વર્તમાન માળખા પર પોતાનો રિપોર્ટ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની સમિતિએ કંપનીઓને એલપીજી માર્કટિંગ માટે ઓછામાં ઓછી 10-25 કરોડની નેટવર્થ રાખવા જણાવ્યું છે. હાલના નિયમો હેઠળ, એલપીજી આયાત કરતી ખાનગી કંપનીઓએ 5 ટકાની આયાત ડ્યૂટી ચૂકવવી પડે છે, જ્યારે સરકારી કંપનીઓએ આયાત ડ્યૂટી ચૂકવવી પડતી નથી.
આ કારણે, સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ એલપીજીના માર્કેટિંગ પર પ્રભુત્વ ધરાવે છે. સરકારી કંપનીઓનું એલપીજી વોલ્યુમ 261 લાખ ટન છે જ્યારે ખાનગી કંપનીઓનું પ્રમાણ માત્ર 2.04 લાખ ટન છે.
મહત્વનું છે કે, LPG ઓર્ડર હેઠળ ખાનગી કંપનીઓ LPGનું માર્કેટિંગ કરી શકે છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના ખાનગીકરણ અગાઉ જ કમિટીએ આ સૂચનો કર્યા છે.કેન્દ્ર સરકારે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં એલપીજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઉજ્જવલા યોજના પણ શરૂ કરી છે.