ઉત્તરપ્રદેશમાં લોકડાઉન ભંગના વેપારીઓ સામેથી કેસ પાછા ખેંચાશે
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લોકડાઉન દરમિયાન નોંધાયેલા ગુનામાં વેપારીઓને રાહત મળશે. લોકડાઉન ભંગના અનેક વેપારીઓ સામે ગુના નોંધાયાં હતા. આ તમામ કેસ પાછા ખેંચવાની સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કાયદા વિભાગ દ્વારા આ અંગે જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યાં છે.
કોવિડ-19 પ્રોટોકોલ તોડવાના અને લોકડાઉન ભંગના અનેક ગુના ઉત્તરપ્રદેશના વેપારીઓ સામે નોંધાયાં હતા. દરમિયાન કાયદા મંત્રી બ્રિજેશ પાઠકના જણાવ્યા અનુસાર, લોકડાઉન ભંગના કેસમાં વેપારીઓને પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર નહીં કાપવા પડે. સરકારે વેપારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. ક્યાં કેટલા વેપારીઓને રાહત મળશે તેના આંકડા એકત્ર કરવામાં આવી રહ્યાં છે. લગભગ એક લાખ જેટલા વેપારીઓને સરકારના નિર્ણયથી રાહત થશે.
ઉત્તરપ્રદેશ યુવા ઉદ્યોગ વ્યાપાર પ્રતિનિડળના વરિષ્ઠ મહામંત્રી અશોક મોહિયાની, કાર્યવાહક અધ્યક્ષ અનિલ બજાજ અને અન્ય આગેવાનોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહની મુલાકાત લઈને વેપારીઓ સામેના કેસ પાછા ખેંચવાની માંગણી કરી હતી.