અરુણાચલ હાઈવે કૌભાંડમાં EDના દરોડામાં લાખોની રોકડ જપ્ત કરાઈ
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: અરુણાચલ હાઈવે જમીન વળતર કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ હાલમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ કૌભાંડ સરકારી કર્મચારીઓ અને ખાનગી લાભાર્થીઓ દ્વારા જમીન સંપાદનના વળતરમાં આચરવામાં આવેલી ગેરરીતિઓ સાથે જોડાયેલું છે.
આ પ્રોજેક્ટ 157.70 કિમી લાંબો છે, જે વહીવટી રીતે યાચુલી, ઝીરો અને રાગા સેક્ટરમાં વહેંચાયેલો છે. તપાસ દરમિયાન નીચે મુજબની ગેરરીતિઓ સામે આવી છે:શરૂઆતમાં ઝીરો સેક્ટરના ડેપ્યુટી કમિશનરે ₹289.40 કરોડનું અંદાજિત વળતર તૈયાર કર્યું હતું, પરંતુ રાજ્ય કક્ષાની બેઠકમાં તેને ઘટાડીને ₹198.56 કરોડ કરવામાં આવ્યું હતું. વિતરણ દરમિયાન મોટી રકમ અન્ય બચત ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નકલી લાભાર્થીઓના નામે ચેક ઈશ્યુ કરીને સરકારી તિજોરીને આશરે ₹44 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટા અને ફૂલાવેલા આકારણી રિપોર્ટ તૈયાર કર્યા હતા. હાઈવે પ્રોજેક્ટમાં અસ્તિત્વમાં ન હોય તેવા બાંધકામો બતાવીને અપાત્ર લોકોને લાભ અપાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.ચાલુ તપાસના ભાગરૂપે આજે કુલ 6 રહેણાંક પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં તત્કાલીન ડેપ્યુટી કમિશનર, DLRSO, આકારણી અધિકારીઓ અને મુખ્ય ખાનગી વચેટિયાઓના રહેઠાણોનો સમાવેશ થાય છે.
4 સ્થળો ઈટાનગર અને તેની આસપાસ, 1 લિખાબાલી (ડિબ્રુગઢ પાસે) અને 1 આલો (મેચુકા-ચીન સરહદ પાસે) ખાતે તપાસ ચાલી રહી છે.એક નકલી લાભાર્થીના નિવાસસ્થાનેથી તપાસ દરમિયાન ₹2.2 કરોડની રોકડ મળી આવી છે.EDની ટીમો અરુણાચલ પ્રદેશના પશ્ચિમથી પૂર્વ ભાગ સુધીના વિસ્તારોને આવરી રહી છે. આ ઓપરેશનમાં સરહદી વિસ્તારો અને મુશ્કેલ પહાડી ભૂપ્રદેશોમાં આવેલા સંવેદનશીલ સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી ગુનાના નાણાંમાંથી ખરીદાયેલી જંગમ અને સ્થાવર મિલકતોના પુરાવા મળી શકે.
આ પણ વાંચોઃ અરુણાચલ હાઈવે કૌભાંડમાં EDના દરોડામાં લાખોની રોકડ જપ્ત કરાઈ


